ડેડિયાપાડા ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં DyCM હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાજકીય તાપમાન વધ્યું હતું, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ મંચ પરથી જ ચૈતર વસાવા પર તીખા પ્રહાર કર્યા હતા.
'આ લલવાઓને આદિવાસીઓનો વિકાસ નથી દેખાતો'
સાંસદે પોતાના ભાષણમાં જણાવ્યું કે, “આ લોકોને આદિવાસીઓનો વિકાસ દેખાતો નથી.” તેમણે આક્ષેપ કર્યો કે વિધાનસભામાં ચૈતર વસાવાએ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે બાબતે તેઓ વિફર્યા હતા. સાંસદે દાવો કર્યો કે સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં સારી શાળાઓ અને કોલેજોની સ્થાપના કરવામાં આવી છે અને વિકાસ માટે અનેક કામો કરવામાં આવ્યા છે.
'કેટલાક લોકો શાળાઓમાં શિક્ષકો નથી એવી વાતો કરીને ગેરસમજ ફેલાવે છે'
મંચ પરથી તેમણે કહ્યું કે, 'કેટલાક લોકો શાળાઓમાં શિક્ષકો નથી એવી વાતો કરીને ગેરસમજ ફેલાવે છે. સાથે જ તેમણે ઉમેર્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેડીયાપાડા આવ્યા હતા ત્યારે પણ તેમની ટીકા કરવામાં આવી હતી, જે યોગ્ય નથી'.
સાંસદ મનસુખ વસાવાએ આપ અને કોંગ્રેસ બંને પર નિશાન સાધ્યું અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપના સુપડાં સાફ કરી નાખવાની ચીમકી ઉચ્ચારી હતી. કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનોને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની હતી.




















