Kotda Sangani Cow Death : રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી એક ગૌશાળામાં ગંભીર ઘટના બની છે, જ્યાં ફૂડ પોઈઝનિંગના કારણે 70થી વધુ ગાયોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા બે દિવસથી ગૌશાળામાં રહેલી ગાયોમાં અચાનક બિમારીના લક્ષણો જોવા મળતા હતા અને ત્યારબાદ ગાયોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચિંતા અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, ગાયોને લોકો દ્વારા દાનમાં મોકલવામાં આવેલ ખોળ ખવડાવવામાં આવ્યો હતો, જેના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતા જોતા રાજકોટ જિલ્લા કલેક્ટર જાતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી.
પશુપાલન વિભાગે હાથધરી તપાસ
પશુપાલન વિભાગની ટીમ દ્વારા ગાયોના મોતના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને નમૂનાઓ લેવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા ગૌશાળામાં જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પગલાં લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે.





















