Home National Monsoon Damage Crop Home Vehicle Insurance Claim Pm Fasal Bima Yojana Gujarati News

વરસાદમાં પાક, ઘર કે વાહનને નુકસાન થયું? : જાણો સરકાર અને વીમા કંપની પાસેથી કેવી રીતે મળશે વળતર

કાર, ખતર અને મકાનની વરસાદથી થયેલા નુકસાનની છબી
Image Credit: AI
Published by: Niraj Chokshi
Last Updated: Jul 13, 2026, 01:30 AM IST

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું જોર પકડતાં ભારે વરસાદ, પૂર અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે, તો બીજી તરફ હજારો લોકોના ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને કિંમતી સામાન બગડ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે કાર અને બાઈક પણ ખરાબ થવાના બનાવો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકો અને ખેડૂતોના મનમાં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આવા નુકસાન માટે સરકાર અથવા વીમા કંપની પાસેથી વળતર મળી શકે? જો હા, તો તેની પ્રક્રિયા શું છે? ચાલો જાણીએ.

કુદરતી આપત્તિના કારણે થયેલા નુકસાન માટે કેટલીક પરિસ્થિતિઓમાં વીમા કંપનીઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાય મેળવવાની જોગવાઈ છે. જોકે, તેના માટે યોગ્ય વીમા પોલિસી હોવી અને સમયસર ક્લેમ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી બને છે.

આ પણ વાંચો: અમદાવાદના પાલડીમાં ST બસ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત : બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત

ઘરને નુકસાન થાય તો હોમ ઈન્શ્યોરન્સ બની શકે સહારો

જો ભારે વરસાદ, પૂર, વાવાઝોડું અથવા અન્ય કુદરતી આપત્તિના કારણે ઘરને નુકસાન થાય તો હોમ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ વળતર મેળવવાની તક મળે છે. માત્ર મકાન જ નહીં, પરંતુ ઘરમાં રહેલા ફર્નિચર, ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, ઈલેક્ટ્રોનિક્સ સાધનો, કપડાં, દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓને પણ અલગ કવરેજ હેઠળ સુરક્ષિત રાખી શકાય છે.

જો ઘરમાં પાણી ઘૂસી જાય અથવા કોઈ સામાન બગડી જાય તો સૌપ્રથમ નુકસાનના ફોટા અને વીડિયો લઈ પુરાવા તરીકે સાચવી રાખવા જોઈએ. ત્યારબાદ શક્ય તેટલી વહેલી તકે વીમા કંપનીને જાણ કરવી જરૂરી છે. સાથે ખરીદીના બિલ, પોલિસીના દસ્તાવેજો અને નુકસાન પામેલા સામાનની યાદી પણ તૈયાર રાખવી જોઈએ. આ તમામ દસ્તાવેજો ક્લેમની પ્રક્રિયાને સરળ બનાવે છે અને વળતર ઝડપથી મળવાની શક્યતા વધે છે.

વરસાદમાં કાર કે બાઈક ખરાબ થાય તો શું મળશે વળતર?

ચોમાસા દરમિયાન અનેક વખત રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનો પાણીમાં ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં જો કાર અથવા બાઈકને નુકસાન થાય તો કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ ધરાવતા વાહનમાલિકો વીમા ક્લેમ કરી શકે છે.

જો વાહન માટે એન્જિન પ્રોટેક્શન કવર લેવામાં આવ્યું હોય તો પાણી એન્જિનમાં જવાથી થયેલા નુકસાનનું પણ વળતર મળવાની શક્યતા રહે છે. જો વાહન સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય તો પોલિસીની શરતો મુજબ નુકસાનનું મૂલ્યાંકન કરીને વીમા કંપની વળતર ચૂકવે છે.

વરસાદી પાણીમાં બંધ પડેલા વાહનને જાતે સ્ટાર્ટ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તેનાથી એન્જિનને વધુ નુકસાન થઈ શકે છે અને કેટલીક પોલિસીમાં ક્લેમ પણ નકારી શકાય છે. આવી સ્થિતિમાં તરત જ રોડસાઇડ આસિસ્ટન્સ અથવા વીમા કંપનીનો સંપર્ક કરવો વધુ યોગ્ય રહે છે.

આ પણ વાંચો: અમરેલીમાં ફરી સિંહોની દસ્તક : ધારીના હુડલી ગામની શેરીમાં 4 સિંહો પહોંચ્યા, તાજેતરના જીવલેણ હુમલાઓ બાદ ગ્રામજનોમાં ભય

ખેડૂતો માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મોટી રાહત

ચોમાસામાં સૌથી વધુ અસર ખેડૂતો પર પડે છે. ભારે વરસાદ, પૂર, પવન, જીવાતો, રોગચાળો અથવા કરા પડવાથી પાકને મોટું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) ખેડૂતો માટે મહત્વપૂર્ણ સહારો બની શકે છે.

આ યોજના હેઠળ કુદરતી આપત્તિના કારણે પાકને થયેલા નુકસાન માટે આર્થિક વળતર આપવામાં આવે છે. જો વરસાદના કારણે વાવણી ન થઈ હોય, ઉભો પાક નષ્ટ થયો હોય અથવા કાપણી બાદ ખેતરમાં સૂકવવા માટે રાખેલો પાક વરસાદમાં બગડી ગયો હોય તો પણ વીમા યોજના હેઠળ ક્લેમ કરી શકાય છે. ખાસ વાત એ છે કે કાપણી બાદ ખેતરમાં રાખવામાં આવેલા પાકને પણ 14 દિવસ સુધી વીમા સુરક્ષા મળે છે. આ સમયગાળા દરમિયાન વરસાદ અથવા અન્ય કુદરતી કારણોસર નુકસાન થાય તો ખેડૂતો વળતર માટે અરજી કરી શકે છે.

ખેડૂતો કેટલો પ્રીમિયમ ચૂકવે છે?

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોને ખૂબ જ ઓછો પ્રીમિયમ ચૂકવવાનો રહે છે. ખરીફ પાક માટે માત્ર 2 ટકા, રબી પાક માટે 1.5 ટકા અને બાગાયતી અથવા વ્યાવસાયિક પાક માટે 5 ટકા પ્રીમિયમ ખેડૂતો પાસેથી લેવામાં આવે છે. બાકીની રકમ કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને ચૂકવે છે. આ કારણે ખેડૂતોને ઓછા ખર્ચે પાક માટે વ્યાપક સુરક્ષા મળે છે અને કુદરતી આપત્તિના સમયે મોટું આર્થિક નુકસાન ટાળી શકાય છે.

પાક ખરાબ થાય તો કેવી રીતે કરશો ક્લેમ?

પાકને નુકસાન થાય તો ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત સમયસર જાણ કરવાની છે. નિયમ મુજબ નુકસાનની ઘટના બાદ 72 કલાકની અંદર સંબંધિત વીમા કંપની, બેંક, કૃષિ વિભાગ અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC)માં જાણ કરવી જરૂરી છે.

ખેડૂતો 14447 હેલ્પલાઇન પર પણ ફરિયાદ નોંધાવી શકે છે. ઉપરાંત, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાના સત્તાવાર પોર્ટલ પર જઈ ઓનલાઈન પણ ક્લેમ કરી શકાય છે. અરજી દરમિયાન નામ, મોબાઇલ નંબર, બેંક ખાતાની વિગતો અને પાકને થયેલા નુકસાનની માહિતી આપવી પડે છે.

વળતર મળવાની પ્રક્રિયા કેવી હોય છે?

ખેડૂત દ્વારા ક્લેમ નોંધાયા બાદ સંબંધિત અધિકારીઓ અથવા સર્વેયર નુકસાનગ્રસ્ત ખેતરની મુલાકાત લઈને પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ તૈયાર કરાયેલા અહેવાલના આધારે વીમા કંપની વળતર મંજૂર કરે છે. સામાન્ય રીતે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એકથી બે મહિનાની અંદર વળતરની રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

ચોમાસા દરમિયાન કુદરતી આપત્તિના કારણે નુકસાન થવું દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ યોગ્ય વીમા કવર અને સમયસર ક્લેમની પ્રક્રિયા અપનાવવામાં આવે તો આર્થિક નુકસાનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેથી ઘર, વાહન અને પાક માટે યોગ્ય વીમા સુરક્ષા રાખવી અને જરૂરી દસ્તાવેજો હંમેશા તૈયાર રાખવા નિષ્ણાતો દ્વારા મહત્વપૂર્ણ સલાહ માનવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now