Surat Narayan Sai : સુરતમાં દુષ્કર્મ કેસમાં સજા ભોગવી રહેલા નારાયણ સાંઈ સામે વધુ એક ગુનો નોંધાયો છે. લાજપોર જેલમાં સેપરેટ સેલમાં રાખવામાં આવેલા નારાયણ સાંઈની ખોલીમાંથી મોબાઈલ ફોન અને સિમકાર્ડ મળતા જેલ તંત્રમાં હલચલ મચી ગઈ છે. જેલ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન નારાયણ સાંઈના સેલના દરવાજા પાછળ ચુંબકની મદદથી છુપાવવામાં આવેલ મોબાઈલ મળી આવ્યો હતો. ઉપરાંત, તેના વ્યક્તિગત થેલામાંથી Jio કંપનીનું સીમકાર્ડ પણ મળ્યું હતું.
પોલીસે નારાયણ સાંઈ સામે ગુનો નોંધ્યો
ઘટનાની ગંભીરતા જોતા સચિન પોલીસ દ્વારા નારાયણ સાંઈ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મોબાઈલ અને સિમકાર્ડ જેલની અંદર કેવી રીતે પહોંચ્યા, કોણે મદદ કરી અને તેનો ઉપયોગ કયા હેતુસર થાય છે એ મુદ્દાઓ પર પોલીસ અને જેલ તંત્ર તપાસ કરી રહ્યું છે.
11 મહિનામાં 12 મોબઈલ મળી આવ્યા!
ગત 11 મહિનામાં લાજપોર જેલમાંથી 12 થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા હોવાની માહિતી બહાર આવતા જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. જેલ તંત્ર દ્વારા આ બેદરકારી મામલે વિભાગીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.





















