આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ગબ્બર ખાતે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન કર્યા બાદ તેઓ પાડલીયા ગામે જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતા પાડલીયા ગામમાં થયેલી ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
'...ગંભીર ચિંતન કરવામાં આવશે'
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, 'પાડલીયા ગામમાં જે કાર્યવાહી કરવામાં આવી છે તે કોના આદેશથી થઈ છે તે બાબત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે આવનારા સમયમાં આવી હિંસક ઘટનાઓ ફરીથી ન બને તે માટે કયા પગલાં લઈ શકાય તે અંગે ગંભીર ચિંતન કરવામાં આવશે'.
'આદિવાસી લોકોએ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું'
આદિવાસી સમાજ અંગે વાત કરતા ચૈતર વસાવાએ જણાવ્યું કે, 'આદિવાસી લોકોએ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે, છતાં પણ જો તેમને સમાનતાની મુખ્ય ધારામાં સામેલ કરવામાં નહીં આવે, તો આવનારા સમયમાં આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે'. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, 'આદિવાસી સમાજ લાંબા સમયથી પોતાના હકો માટે સંઘર્ષ કરી રહ્યો છે'.
ભીલ પ્રદેશની માંગ ફરી એકવાર ચર્ચાઈ
આ સાથે જ ચૈતર વસાવાએ રાજકીય સંદેશ આપતા જણાવ્યું કે, આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશની રચના કરશે, તે તરફ આદિવાસી સમાજનો ઝુકાવ રહેશે. તેમના આ નિવેદન બાદ આદિવાસી સમાજના મુદ્દાઓ અને ભીલ પ્રદેશની માંગ ફરી એકવાર રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.





















