ગુજરાતના રાજકીય ક્ષેત્રે આવતીકાલે એક મોટું પરિવર્તન થવાનું છે. મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીઓની શપથવિધિ યોજાવાની છે, અને આજે તે માટેની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. શપથવિધિ બપોરે 12:39 વાગ્યે યોજાશ. તે માટે સમગ્ર સરકાર તંત્ર અને પક્ષનું સંચાલન તત્પરતા સાથે કાર્યરત છે.
મંત્રીઓ મહાત્મા મંદિર પર પહોંચી શપથવિધિ માટેની તૈયારીઓની સમીક્ષા કરી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આજે સવારે મહાત્મા મંદિર પર પહોંચી શપથવિધિ માટેની તૈયારીઓની સમીક્ષા કરી. આવતીકાલની ભવ્ય સમારોહ પૂર્વે કોણ કોણ નવા મંત્રી તરીકે શપથ લેશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે, અને મહેમાનોની પુષ્ટિ થયા પછી વધુ વિગતો જાહેર કરવામાં આવશે.
ભૂપેન્દ્ર પટેલ તરફથી મંત્રીમંડળની બેઠક?
આજ સાંજ સુધીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ, આ બેઠક બપોરે 3 વાગ્યા પછી યોજાઈ શકે છે. ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી સિવાય તમામ હાલના મંત્રીઓએ એક સાથે રાજીનામા આપવાની સંભાવના છે, જેથી નવા માળખા અનુસાર ફરીથી મંત્રીમંડળ રચાઈ શકે છે. આ પ્રકારનું સંપૂર્ણ મંત્રીમંડળ વિસર્જન અને પુનર્ગઠન ભાજપ માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ વ્યૂહરચના ગણાય છે, જેમાં યુવા નેતાઓ, સ્ત્રી પ્રતિનિધિત્વ અને પ્રાદેશિક સમતુલનને ધ્યાનમાં લઈ મંત્રીમંડળ ઘડાશે તેવી શક્યતા છે.
કાર્યાલયે કાર્યકરોમાં ભારે ઉત્સાહ
ભાજપના ટોચના નેતાઓની હાજરી કમલમ કાર્યાલયે ઉત્સાહનો માહોલ સર્જાયો. આ રાજકીય પરિવર્તનના પવનને ધ્યાનમાં લઈને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાતમાં હાજર રહેશે.
આજે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ અને રાષ્ટ્રીય સંગઠન પ્રભારી વિનોદ તાવડે ગુજરાત આવશે. જેના આગમનને લઈને ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પક્ષના કાર્યકરો આ રાજકીય ઘટનાઓને પાર્ટી માટે નવી દિશા તરીકે જોઈ રહ્યા છે.
શું બદલાશે ગુજરાતનું રાજકીય પરિદૃશ્ય?
આ તમામ રાજકીય હરકતો બતાવે છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં નવા ચહેરાઓ, નવી જવાબદારીઓ, અને નવુ રાજકીય સમીકરણ સામે આવી શકે છે. ભવિષ્યની ચૂંટણી અને સંદેશ સંચાલનને ધ્યાનમાં રાખીને ભાજપ તરફથી આ મોટું પાવર-શિફ્ટ હોવાની પૂરી શક્યતા છે.





















