ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સીમર ગામે કોળી સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નના મંચ પરથી મંત્રી પરસોત્તમ સોલંકીએ સમાજને સંબોધતા ભાવનાત્મક અને સ્પષ્ટ શબ્દોમાં નિવેદન આપ્યું હતું, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
'તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી'
મંત્રી પરસોત્તમ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, 'તમને બધાને ખબર છે કે હું વધારે બોલતો નથી, મારી એક મર્યાદા હોય છે' તેમણે કહ્યું કે, 'હું કોઈ ગામમાં જાઉં અને પબ્લિક જોઈને મારાથી રહેવાતું નથી એટલે ક્યારેક મારીથી બોલાઈ જાય છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 'તમે ચિંતા કરતા નહીં, હું તમને કોઈ ટેન્શન નહીં આપું, પરંતુ જો તમને કોઈ ધોકો મારશે તો પરસોત્તમ સોલંકી બેઠો છે'. મંત્રી સોલંકીએ પોતાના નિવેદન અંગે મીડિયામાં થતી ચર્ચાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
'તમને કોઈ ધોકો મારે તો પરસોત્તમ સોલંકી બેઠો છે'
તેમણે કહ્યું કે, 'સમાચારમાં તમે જોયું હશે કે કેટલાક લોકો કહે છે કે આ મંત્રી દરજ્જાનો માણસ છે અને જાહેરમાં આવું બોલે છે. મેં તો કહી દીધું કે જેને જે સમજવું હોય તે સમજે.' તેમણે સ્પષ્ટ કહ્યું કે, “છે એ જ છે, અને હું કોળી સમાજનો દીકરો છું. મને બીજું કંઈ આવડતું નથી'. તેમણે વધુમાં કહ્યું હતું કે, 'તમને કોઈ ધોકો મારે તો પરસોત્તમ સોલંકી બેઠો છે, અને આ વાતને તેમણે બે વખત દોહરાવી સમાજને આશ્વાસન આપ્યું હતું. મંત્રી સોલંકીએ જણાવ્યું હતું કે તેઓ કોઈના પગે પડતા નથી અને આવા વર્તન તેમને આવડતું નથી, પરંતુ સમાજના હિત માટે તેઓ હંમેશા ઊભા રહેશે. સીમર ગામે યોજાયેલા આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો હાજર રહ્યા હતા.




















