લાકડાની ફિસલતી ગાડી પર બેઠેલો, પીઠ પર થેલો લટકાવેલો, હાથમાં જૂતા લઈને ઘસડાતો એક વિકલાંગ માણસ, જેનું નામ છે માંગીલાલ. જેને જોતાં જ લોકોને દયા આવી જાય. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં સર્રાફા બજારમાં વર્ષોથી આ ભિખારી માંગીલાલ લોકોની સહાનુભૂતિનું કેન્દ્ર બન્યો હતો. લોકો તેને જોઈને દયા આવતા કસું પણ વિચાર્યા વગર પૈસા આપી દેતા હતા. પરંતુ આજે જ્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની રેસ્ક્યુ ટીમે તેને રેસ્ક્યુ કર્યો ત્યારે ખબર પડી કે માંગીલાલ એક કરોડપતિ ભિખારી છે!
સર્રાફા બજારમાં વર્ષોથી ભીખ માંગતો માંગીલાલ
સર્રાફા બજારમાં માંગીલાલને દરેક વ્યક્તિ ઓળખતા હતા. લાકડાની ગાડી પર બેસીને, પીઠ પર થેલો અને હાથમાં જૂતા લઈને ઘસડાતો તે ચાલતો. તે ક્યારેય જોરજબરદસ્તી નહોતો કરતો કે, ઊંચા અવાજમાં કંઈ બોલતો નહીં. ફક્ત ચુપચાપ લોકો પાસે જતો અને તેની વિકલાંગતા જોઈને લોકો પોતાની મરજીથી પૈસા આપી દેતા. લોકો તેને દયાળુ નજરથી જોતા અને ભીખ આપીને પોતાનું પુણ્ય કમાતા માનતા. જોકે. ઘણા લોકોને તેના પર શંકા જતા મહિલા અને બાળ વિકાસ વિભાગને સર્રાફા વિસ્તારમાં રહેતા લોકો અવારનવાર ફરિયાદ કરતા હતા કે, માંગીલાલ વર્ષોથી ભીખ માંગી રહ્યો છે, પરંતુ તેની જીવનશૈલી અને હિલચાલમાં કંઈક શંકાસ્પદ છે. આ ફરિયાદોના આધારે ભીખારી ઉન્મૂલન અભિયાન હેઠળ રેસ્ક્યુ ટીમે કાર્યવાહી કરી અને માંગીલાલને રેસ્ક્યુ કર્યો હતો. જ્યાં પૂછપરછ દરમિયાન જે તથ્યો સામે આવ્યા તે દરેકને ચોંકાવી દેનારા હતા.
ત્રણ પાકા મકાન અને ત્રણ માળની બિલ્ડિંગ
જાંચમાં માંગીલાલની સંપત્તિની વિગતો સામે આવી જે ખરેખર આશ્ચર્યજનક છે. તેની પાસે ત્રણ પાકા મકાન છે:
ભગત સિંહ નગરમાં 16×45 ફૂટનું ત્રણ માળનું પાકું મકાન
શિવનગર વિસ્તારમાં લગભગ 600 સ્ક્વેર ફૂટનું બીજું પાકું મકાન
અલવાસ વિસ્તારમાં 10×20 ફૂટનું 1 BHK મકાન (જે સરકારે રેડ ક્રોસ સોસાયટી દ્વારા આપ્યું હતું)
આ મકાનોની કિંમત હાલના બજાર દર મુજબ કરોડોમાં આંકવામાં આવી રહી છે. મકાનો ઉપરાંત માંગીલાલની પાસે ત્રણ ઓટો રિક્ષા છે, જેને તે કિરાયે ચલાવે છે. આ ઉપરાંત તેની પાસે એક ડિઝાયર ફોર વ્હીલર કાર પણ છે, જેને પણ તે કિરાયે આપી દે છે. તે પોતે આ કારનો ઉપયોગ નથી કરતો.

વધુમાં પૂછપરછમાં માંગીલાલે સ્વીકાર્યું કે, તે સર્રાફા વિસ્તારના અનેક લોકોને બ્યાજ પર પૈસા આપે છે. તે દરરોજ ભીખ માંગવા ઉપરાંત બ્યાજની રકમ વસૂલવા પણ જાય છે. તેના કહેવા પ્રમાણે દરરોજ ભીખ અને બ્યાજ મળીને 400થી 500 રૂપિયા સુધીની આવક થાય છે.
"હું જબરદસ્તી નથી કરતો" – માંગીલાલની સફાઈ
માંગીલાલે પોતાની સફાઈમાં કહ્યું કે, તે કોઈ પર જબરદસ્તી નથી કરતો. લોકો તેની હાલત જોઈને પોતાની મરજીથી પૈસા આપે છે. પરંતુ વહીવટીતંત્રનું કહેવું છે કે ભલે જબરદસ્તી ન હોય, પણ ખોટી મજબૂરી અને અસહાયતા બતાવીને ભીખ માંગવી પણ ગુનો છે, ખાસ કરીને જ્યારે વ્યક્તિ સંપન્ન હોય.
પ્રશાસન સખ્ત, કાર્યવાહી ચાલુ રહેશે
જિલ્લા કાર્યક્રમ અધિકારી રજનીશ સિંહાએ જણાવ્યું હતું કે, ભીખારી ઉન્મૂલન અભિયાન હેઠળ કાર્યવાહી ચાલુ રહેશે. જે કોઈ ભીખ માંગશે કે, તેને પ્રોત્સાહન આપશે. તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને સાચા જરૂરિયાતમંદોના હક પર અસર પડે છે. આ કેસમાં આગળની કાર્યવાહી શાસનના નિર્દેશ મુજબ કરવામાં આવશે.





















