Ahmedabad Viratnagar Fire : અમદાવાદના નારોલ-નરોડા હાઇવે પર વિરાટનગર વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં બે દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગના બનાવની જાણ થતાં જ તાત્કાલિક ઓઢવ-નિકોલ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. આગ એટલી ભયાનક હતી કે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. કોમ્પ્લેક્સ રોડથી થોડા જ અંતરે હોવાથી, રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આગ રસ્તા સુધી આગ પહોંચતા પસાર થતાં લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમાડો જોઈને સ્થળ પર લોકોની ભારે ભીડ જામી હતી. હાલમાં ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવાના સઘન પ્રયાસો કરી રહી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવશે. જોકે, આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હાલ જાણી શકાયો નથી.





















