સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સુરતમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતા મનીષ સિસોદિયાએ સુરતની મુલાકાત દરમિયાન પત્રકાર પરીષદ યોજી હતી. મનીષ સિસોદિયાએ હાવાલ અંગે ભાજપ પર પ્રહાર કર્યાં. હવાલા મામલે પારદર્શકતા રાખવા અને CCTV જાહેર કરવા જણાવ્યું.
સુરતમાં પ્રચાર તેજ
સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, અગાઉની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે પાર્ટી બહુમતી સાથે સત્તા મેળવશે એવો વિશ્વાસ છે. તેમણે લોકોને સીધી અપીલ કરતાં કહ્યું કે, “આ વખતનો મત પરિવર્તન માટે આપો.
આ પણ વાંચો: રાજકોટમાં આપ પાર્ટીનાં ઉમેદવારનો અનોખો પ્રચાર : ટ્રાફિક વચ્ચે ‘સેનિટાઈઝર મેન’ બની આપી સેવા
શિક્ષણ અને આરોગ્ય મુદ્દે ભાજપને ઘેર્યું
સિસોદિયાએ સુરત શહેરની શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થાને અંગે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જ્યાં પણ સત્તામાં આવે છે, ત્યાં સૌથી પહેલા શિક્ષણ અને આરોગ્યને પ્રાથમિકતા આપે છે.” સરકારની જવાબદારી છે કે સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સસ્તું તેમજ સુલભ આરોગ્ય સેવાઓ મળે. સુરતમાં આ બંને ક્ષેત્રોમાં હજુ પણ અનેક ખામીઓ હોવાનો તેમણે દાવો કર્યો છે. આ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને આપ ચૂંટણીમાં મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહી છે, જે રાજ્યના રાજકારણમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે.
હવાલા અંગે ઉઠાવ્યા સવાલ
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદિયાએ હવાલા કાંડ અંગે સવાલો ઉઠાવ્યા કહ્યું કે, “જો આંગડીયા પેઢીઓમાં હવાલા થઈ રહ્યા છે, તો સરકાર કેમ મૌન છે. જો કોઈ એક CCTV ફૂટેજ સામે આવે છે, તો માત્ર તેનાથી સત્ય બહાર આવતું નથી. અમે માંગ કરીએ છીએ કે આખા દિવસ અને આખા મહિનાના CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે.
આ સાથે તેમણે જણાવ્યું કે, જો ખરેખર હવાલા થઈ રહ્યા હોય તો આંગડીયા પેઢીઓ પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી અને આંગડીયા પેઢી હજુ સુધી કાર્યરત કેમ છે. જો આપના કોઈ કાર્યકર્તાએ ગેરરીતિ કરી હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ.
સિસોદિયાના આ નિવેદનો બાદ સુરતમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ચૂંટણી પહેલા તમામ પક્ષો એકબીજા પર આરોપો મૂકી મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખાસ કરીને પારદર્શકતા, ભ્રષ્ટાચાર વિરોધ અને જાહેર સેવાઓના મુદ્દાઓને આગળ રાખીને પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે.





