Manipur Violence: મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી શાંતિ વચ્ચે ફરી એકવાર રક્તપાતની ઘટના સામે આવી છે. બુધવારે કાંગપોકપી જિલ્લામાં ઉગ્રવાદીઓએ ઘાત લગાવીને કરેલા ભીષણ હુમલામાં કુકી સમુદાયના ત્રણ પ્રતિષ્ઠિત ચર્ચ નેતાઓના કરુણ મોત નિપજ્યા છે. આ હુમલાએ સમગ્ર મણિપુરમાં સનસનાટી મચાવી દીધી છે અને રાજ્યમાં ફરી વંશીય હિંસા ભડકવાની આશંકા વચ્ચે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો પહાડી વિસ્તારમાં ટાઈગર રોડ પર થયો હતો. હથિયારધારી ઉગ્રવાદીઓએ જે રીતે આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો છે તે જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મણિપુરમાં વર્ષ 2026ની શરૂઆતમાં જ થયેલા આ મોટા હુમલા બાદ સરકારે સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની ફોર્સ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે અને મુખ્ય માર્ગો પર સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
અંધાધૂંધ ફાયરિંગથી રસ્તા પર જ લોહીની નદીઓ વહી
ઘટનાની વિગત મુજબ, કુકી સમુદાયના ચર્ચ નેતાઓ બે વાહનોમાં સવાર થઈને કાંગપોકપી-ચુરાચાંદપુર (લમકા) માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ટાઈગર રોડ પાસે અગાઉથી સંતાઈને બેઠેલા ઉગ્રવાદીઓએ વાહનો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલો એટલો અચાનક અને તીવ્ર હતો કે વાહનમાં સવાર લોકોને બચવાની કોઈ તક મળી નહોતી. આ ગોળીબારમાં વુમથાંગ, પાદરી પાઓગૌલેન અને પાદરી કૈગૌલુનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
KSOનો ગંભીર આરોપ: નાગા ઉગ્રવાદીઓ પર શંકા
આ હુમલા બાદ કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશન (KSO) એ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા આપી છે. KSOએ દાવો કર્યો છે કે તમામ મૃતકો કુકી સમુદાયના બેપ્ટિસ્ટ ચર્ચના અગ્રણી નેતાઓ હતા, જેઓ લમકા ખાતે આયોજિત યુબીસી (UBC) કન્વેન્શનમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સંગઠને આક્ષેપ કર્યો છે કે, આ કાયરતાપૂર્ણ હુમલા પાછળ નાગા ઉગ્રવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે. KSOએ આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે તટસ્થ તપાસ અને દોષિતોને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
થલાપતિનો પાવર શો: વિધાનસભામાં ભારે બહુમતી સાથે ફ્લોર ટેસ્ટ જીત્યો, સ્ટાલિનની DMK જોતી રહી ગઈ
સેના અને પોલીસનું સંયુક્ત સર્ચ ઓપરેશન
હુમલાની જાણ થતા જ આસામ રાઈફલ્સ અને મણિપુર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર કાંગપોકપી જિલ્લાને સીલ કરી દેવામાં આવ્યો છે અને ડ્રોન તથા હેલિકોપ્ટરની મદદથી હુમલાખોરોનું પગેરું મેળવવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં જ સુરક્ષા દળોએ NRFM, KCP અને KYKL જેવા સંગઠનોના પાંચ ઉગ્રવાદીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી AK-56, સ્નાઈપર રાઈફલ અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કર્યો છે. આ ધરપકડ અને હુમલા વચ્ચે કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.





