Happy Friendship Day: અંતિમ ક્રિયામાં DJ બોલાવાયું. તમામ લોકો પરિવારજનોની મોત પર નિશબ્દ હતાં પણ એક વ્યક્તિ DJના તાલે ઝૂમી રહ્યો હતો. અંતમક્રિયામાં ડાન્સ કરનાર આ વ્યક્તિ મરનાર વ્યક્તિનો મિત્ર છે. ડાન્સ કરનાર અંબાલાલ પ્રજાપત મિત્રના મરવા પર ખુશ નથી, પણ તે દુખમાં નાચી રહ્યાં છે.કારણ છે મિત્રને આપેલું વચન! મધ્યપ્રદેશના મંદસૌરમાં સોહનલાલ જૈન નામના વ્યક્તિએ મરવા પહેલા પોતાના મિત્રના નામે પત્ર લખ્યો અને કહ્યું કે મારા મોત પર કોઇ રડશે નહીં, તમારે નાચવાનું છે એ પણ ડીજે બોલાવીને. બસ દોસ્તની આ અંતિમ ઇચ્છા પૂરી કરવા તેમના મિત્ર આખી યાત્રામાં નાચ્યા, ડીજેના તાલે સ્મશાન યાત્રા સુધી નાચ્યાં!
ફ્રેન્ડશીપ ડે પર દોસ્તીની આ ભાવુક ઘટના તમારી આંખો ભીંજવી દેશે!
આ અનોખી ઘટના મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના જવાસિયા ગામમાં જોવા મળી. જ્યાં એક એવી ઘટના સામે આવી જે સાચી મિત્રતાને નવો અર્થ આપે છે. 71 વર્ષીય સોહનલાલ જૈનની અંતિમ યાત્રામાં તેમના ખાસ મિત્ર અંબાલાલ પ્રજાપતે આંખોમાં આંસુ સાથે ઢોલ-નગારા પર નૃત્ય કરીને તેમને વિદાય આપી. આ દૃશ્ય માત્ર એક વચનની પૂર્તિ ન હતું, પરંતુ કૃષ્ણ-સુદામા જેવી ગાઢ મિત્રતાનું પ્રતીક હતું, જેણે આખા ગામની આંખો ભીની કરી અને ચહેરા પર સ્મિત લાવ્યું. મૃતતક કેન્સરથી પીડિત હતા. જેથી તેમણે ખાસ મિત્રને સંબોધીને એક પત્ર લખ્યો હતો જેમાં મિત્રને કહ્યું હતું કે, ‘‘મારા મોત બાદ કોઇએ રડવાનું નથી. અને તારે મારા મોત બાદ વાજતે ગાજતે મને વિદાય આપવાની છે. ડીજેના તાલે તું નાચજે. મારી અંતિમ વિદાયમાં તું નાચીને મને વિદાય આપે તેવું વચન આપજે.’’ બસ આ વચન નિભાવવા અંબાલાલ પ્રજાપત મિત્રની અંતિમક્રિયા સુધી નાચતાં રહ્યાં.
ગ્રામજનોએ શરૂઆતમાં અંબાલાલને નાચતાં રોક્યાં
29 જુલાઈ 2025ની રાત્રે કેન્સર સામે લડતા સોહનલાલનું અવસાન થયું. પરિવારજનોને તેમના સંદૂકમાંથી પત્ર મળ્યો, જેને વાંચીને અંબાલાલ અને શંકરલાલ ભાવુક થઈ ગયા. ગામના લોકોએ શરૂઆતમાં અંબાલાલને નૃત્ય કરતા રોકવાનો પ્રયાસ કર્યો, કારણ કે શબ યાત્રામાં નૃત્યની પરંપરા ન હતી. અંબાલાલે કહ્યું, "આ મારા મિત્રની અંતિમ ઈચ્છા હતી. મનમાં ખૂબ દુઃખ છે, પરંતુ હું તેને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો." વાયરલ થયેલા વીડિયોમાં અંબાલાલ લાલ શર્ટમાં ઢોલની થાપ પર નૃત્ય કરતા જોવા મળ્યા, જ્યારે તેમની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું.
ચાની દુકાનથી શરૂ થયેલી મિત્રતા
સોહનલાલ જૈન અને અંબાલાલ પ્રજાપતની મિત્રતાની શરૂઆત લગભગ 20 વર્ષ પહેલાં જવાસિયા ગામમાં થઈ હતી. સોહનલાલ, જેઓ મૂળ સીહોર ગામના હતા, જવાસિયામાં દુકાન ખોલવા આવ્યા હતા. અંબાલાલે જણાવ્યું કે તેમની મુલાકાત ત્યારે થઈ જ્યારે તેઓ સોહનલાલને રોજ ઘરે બનાવેલી ચા પીવડાવવા લાગ્યા. ચાની દુકાન પર શરૂ થયેલી આ મિત્રતા ધીમે-ધીમે એટલી ગાઢ બની કે બંને દિવસમાં બે-ત્રણ વખત મળતા અને સાથે સત્સંગમાં જોડાતા.
આ બંનેની મિત્રતા સત્સંગ અને પ્રભાત ફેરીથી વધુ મજબૂત થઈ. સોહનલાલ, જેઓ ઉંમરમાં મોટા હતા, અંબાલાલ માટે મિત્રથી વધુ ગુરુ બની ગયા. સોહનલાલે 32 વર્ષ પહેલાં ગામમાં પ્રભાત ફેરી અને રામધૂનની શરૂઆત કરી હતી, જેમાં અંબાલાલ અને શંકરલાલ પાટીદાર તેમના પ્રારંભિક સાથીઓ હતા. છેલ્લા 10 વર્ષથી બંને રોજ સવારે 5 વાગ્યે પ્રભાત ફેરીમાં ભાગ લેતા, જેનાથી તેમના સંબંધને આધ્યાત્મિક ઊંડાણ મળ્યું.
સોહનલાલનો ભાવુક પત્ર થયો વાયરલ
સોહનલાલ જૈન બે વર્ષ પહેલાં કેન્સરનો શિકાર બન્યા હતા. તેમણે રતલામ, મંદસૌર અને અમદાવાદમાં સારવાર કરાવી, પરંતુ જીવનની લડાઈ હારી ગયા. 9 જાન્યુઆરી 2021ના રોજ સોહનલાલે તેમના મિત્રો અંબાલાલ પ્રજાપત અને શંકરલાલ પાટીદારના નામે એક ભાવુક પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે લખ્યું, "અંબાલાલ પ્રજાપત અને શંકરલાલ પાટીદારને મારો અંતિમ રામ-રામ. જ્યારે હું આ દુનિયામાં ન હોઉં, ત્યારે મારી અંતિમ યાત્રામાં કોઈ રડવું-ધોવું ન કરવું. ઢોલ-નગારા અને નૃત્ય સાથે મને ખુશીથી વિદાય આપવી. મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો."
સોહનલાલનું માનવું હતું કે મૃત્યુથી ડરવાની જરૂર નથી, કારણ કે તે જીવનનો એક ભાગ છે. તેમણે પોતાની અંતિમ યાત્રાને ઉત્સવની જેમ ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પત્ર સોહનલાલના મૃત્યુ પછી તેમના સંદૂકમાંથી મળ્યો, જ્યારે પરિવારજનોએ તેમની અલમારીની તપાસ કરી.





















