પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (BJP) પર તેમની પાર્ટીને તોડવાના પ્રયાસોના ગંભીર આક્ષેપો કર્યા છે. સાથે જ તેમણે ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે, "મારી સાથે રમત રમાઈ છે પરંતુ સમય આવશે ત્યારે હું તેનાથી પણ મોટી રમત રમિશ." મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે તેઓ આજે કોલકાતાના રાણી રસમણી રોડ પર એક દિવસીય ધરણા કાર્યક્રમ કરશે. આ કાર્યક્રમ દ્વારા તેઓ રાજ્યમાં લોકશાહી અને રાજકીય દબાણના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવશે.
TMC ધારાસભ્યોને ધમકી અપાતી હોવાનો આક્ષેપ
મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે પોલીસ અને શાસક તંત્ર દ્વારા TMCના ધારાસભ્યોને પાર્ટીની બેઠકમાં હાજર ન રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ચાર ધારાસભ્યોએ ફરિયાદ કરી છે કે બેઠકમાં જવાના પહેલાં તેમને ફોન પર ધમકી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે રૂપિયા અને સત્તાના બળે TMCને નબળી બનાવી શકાશે નહીં. તેમના જણાવ્યા મુજબ આવા પ્રયાસોથી પાર્ટી વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચો: 300 વર્ષ કર્યું રાજ, પરંતુ હજ પર ન ગયા એકેય મુઘલ બાદશાહ ! : આખરે શું હતું આની પાછળનું સૌથી મોટું કારણ?
પોલીસની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ
મમતાએ રાજ્ય પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. કહ્યું કે જ્યારે પણ તેઓ કોઈ રાજકીય બેઠક અથવા કાર્યક્રમ યોજવા માંગે છે ત્યારે મંજૂરી રદ કરવામાં આવે છે. પોલીસનું કામ સામાન્ય લોકોની સુરક્ષા કરવાનું છે, પરંતુ અહીં રાજકીય દબાણ હેઠળ કામ થતું હોવાનો આક્ષેપ તેમણે કર્યો. તેમણે વધુમાં કહ્યું કે, "મને પોલીસને જોઈને શરમ આવે છે. તેમનું કામ રક્ષણ આપવાનું છે, પરંતુ તેઓ ધારાસભ્યોને ધમકાવી રહ્યા છે. મારી સુરક્ષા પણ હટાવી દેવામાં આવી છે."
મમતા બેનર્જીએ હાલની પરિસ્થિતિની તુલના તાનાશાહી સાથે કરતાં કહ્યું કે રાજ્યમાં અરાજકતા ફેલાઈ રહી છે. તેમણે કહ્યું કે હાલની સ્થિતિનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા પડી રહ્યાં છે. તેમણે આરોપ લગાવ્યો કે થોડા ધારાસભ્યો અને સાંસદોને ડરાવી કે લાલચ આપી TMCને નબળી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તે સફળ નહીં થાય.
આ પણ વાંચો: મ્યાનમારના રાષ્ટ્રપતિનો પ્રથમ વિદેશ પ્રવાસ ભારત : PM મોદી સાથેની મુલાકાતમાં કરી આ 4 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા
અભિષેક બેનર્જી પર હુમલાનો મુદ્દો ફરી ઉઠાવ્યો
મમતાએ પોતાના ભત્રીજા અને TMCના સાંસદ અભિષેક બેનર્જી પર થયેલા હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસ હિંસામાં સામેલ BJP કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. તેમણે દાવો કર્યો કે અભિષેક પર હુમલા બાદ ખોટા લોકોને ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વાસ્તવિક આરોપીઓ સામે કાર્યવાહી થઈ નહોતી. તેમના જણાવ્યા મુજબ તેમની પાસે આ અંગેના પુરાવા પણ છે.
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 5 નવા જજોની નિમણૂંક : વરિષ્ઠ વકીલ વી. મોહનાએ રચ્યો ઈતિહાસ
ધરણા કાર્યક્રમ પર સૌની નજર
2 જૂને યોજાનારા ધરણા કાર્યક્રમને લઈને પશ્ચિમ બંગાળના રાજકારણમાં ચર્ચા તેજ બની છે. રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં TMC અને BJP વચ્ચેનો રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. મમતા બેનર્જીના આ નિવેદનો બાદ રાજ્યના રાજકીય માહોલમાં ફરી ગરમાવો આવ્યો છે અને હવે સૌની નજર તેમના ધરણા કાર્યક્રમ તથા BJPના પ્રતિસાદ પર ટકેલી છે.





