Mamata Banerjee And Sharad Pawar Congress Merger: દેશના રાજકારણમાં ફરી એકવાર મોટા રાજકીય પુનર્ગઠનની ચર્ચાઓ તેજ બની છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-SP) ફરી કોંગ્રેસમાં વિલીન થઈ શકે છે તેવી અટકળોએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચે તાજેતરમાં થયેલી બેઠકો બાદ આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. જોકે કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે વિલીનીકરણની ચર્ચાઓને માત્ર અફવા ગણાવી છે, પરંતુ મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નાના પટોલેના નિવેદન બાદ રાજકીય સમીકરણોને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પટોલેએ દાવો કર્યો છે કે કોંગ્રેસ જેવી વિચારધારા ધરાવતા પક્ષો ફરી એક થવાની તૈયારીમાં છે.
નાના પટોલેનો દાવો: ‘મમતા અને પવાર કોંગ્રેસ સાથે આવવા તૈયાર’
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મમતા બેનર્જી અને શરદ પવાર કોંગ્રેસ સાથે વિલીનીકરણ અંગે વિચાર કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ માત્ર ગઠબંધનની વાત નથી, પરંતુ સીધા વિલીનીકરણની ચર્ચા ચાલી રહી છે. પટોલેએ વધુમાં દાવો કર્યો કે શરદ પવાર તરફથી અગાઉ પણ વિલીનીકરણનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક કારણોસર તે પ્રક્રિયા આગળ વધી શકી નહોતી. હાલની રાજકીય પરિસ્થિતિમાં મતવિભાજન રોકવા માટે સમાન વિચારધારા ધરાવતા તમામ પક્ષોએ એક થવું જોઈએ. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય સ્તરે આ પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષો કોંગ્રેસમાં જોડાવા અંગે સકારાત્મક વલણ ધરાવે છે.
સંજય રાઉતે પણ આપ્યું હતું સમર્થન
શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ થોડા દિવસો પહેલાં સમાન પ્રકારની વાત કરી હતી. તેમણે શરદ પવારને આગેવાની લઈને કોંગ્રેસમાંથી અલગ થઈ બનેલા નાના પક્ષોને ફરી કોંગ્રેસમાં જોડવા માટે પહેલ કરવાની અપીલ કરી હતી. રાઉતે જણાવ્યું હતું કે, દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસ મજબૂત હોવી જરૂરી છે અને કોંગ્રેસમાંથી અલગ થયેલા પક્ષોના નેતાઓએ પણ સમયની જરૂરિયાતને સમજવી જોઈએ.
આ પણ વાંચો: અલ નીનોના ખતરાને લઈને PM મોદીની ચેતવણી: રાજ્યોને તૈયાર રહેવા આપી સૂચના
સુપ્રિયા સુલેનો સંકેતભર્યો જવાબ
સંજય રાઉતના નિવેદન બાદ NCP-SPના નેતા અને શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલેએ પણ રસપ્રદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે સીધો ઇનકાર કર્યા વગર કહ્યું હતું કે સમય જ બતાવશે કે આગળ શું થશે. તેમણે સંકેત આપતાં કહ્યું હતું કે "પહેલા વરસાદ પડે, પછી જોઈએ કે છત્રી લેવી કે રેઈનકોટ." તેમના આ નિવેદનને રાજકીય વિશ્લેષકો સંભવિત વિલીનીકરણ અંગે ખુલ્લા વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે.
અશોક ગેહલોતે પણ કરી હતી અપીલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કોંગ્રેસમાંથી અલગ થઈને બનેલા પ્રાદેશિક પક્ષોને ફરી કોંગ્રેસમાં જોડાવા માટે અપીલ કરી હતી. ગેહલોતે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસમાંથી અલગ થયેલા તમામ પક્ષો ફરી એક થાય અને રાહુલ ગાંધીને વિરોધ પક્ષના મુખ્ય નેતા તરીકે સ્વીકારે. તેમણે દલીલ કરી હતી કે જો સમગ્ર INDIA ગઠબંધન એક અવાજે રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારી લે તો દેશની રાજકીય પરિસ્થિતિ અને મતદાનના વલણમાં નોંધપાત્ર ફેરફાર આવી શકે છે.
કોંગ્રેસથી અલગ થઈને ઉભા થયા હતા બંને પક્ષ
મમતા બેનર્જીએ 1998માં કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. જ્યારે શરદ પવારે 1999માં પી.એ. સંગમા અને તારિક અનવર સાથે મળીને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)ની રચના કરી હતી. સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે કોંગ્રેસ સાથે મતભેદ સર્જાતા શરદ પવારને પક્ષમાંથી બહાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમણે અલગ પક્ષ રચ્યો હતો. જોકે તેમના સાથી તારિક અનવર બાદમાં ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા.
આ પણ વાંચો: 'ભારત પર હુમલામાં વપરાતા હથિયારો તમે વેચો છો': યુરોપમાં જયશંકરે બતાવ્યો અરીસો
TMC-કોંગ્રેસની બેઠકો બાદ અટકળોને વેગ
તાજેતરમાં મમતા બેનર્જીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ TMCના મહાસચિવ અભિષેક બેનર્જી અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન અભિષેક બેનર્જીએ મજબૂત વિપક્ષી એકતા માટે TMCની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવાની તૈયારી પણ દર્શાવી હતી. જોકે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વિલીનીકરણનો પ્રસ્તાવ હશે તો તેની શરૂઆત તૃણમૂલ કોંગ્રેસ તરફથી થવી જોઈએ અને કોંગ્રેસ તરફથી હાલમાં આવી કોઈ પહેલ કરવામાં આવી રહી નથી.
શું ખરેખર શક્ય છે ‘અખંડ કોંગ્રેસ’?
હાલ સુધી કોઈ પક્ષે સત્તાવાર રીતે વિલીનીકરણની જાહેરાત કરી નથી. તેમ છતાં નાના પટોલે, સંજય રાઉત, અશોક ગેહલોત અને સુપ્રિયા સુલે જેવા નેતાઓના નિવેદનો બાદ રાજકીય અટકળો વધુ તેજ બની છે. આગામી મહિનાઓમાં INDIA ગઠબંધનની વ્યૂહરચના, રાજ્ય ચૂંટણી અને રાષ્ટ્રીય રાજકારણના બદલાતા સમીકરણો વચ્ચે આ ચર્ચાઓ વધુ મહત્વની બની શકે છે. જોકે અંતિમ નિર્ણય સંબંધિત પક્ષોના ટોચના નેતાઓના વલણ પર નિર્ભર રહેશે.





