Home Gujarat Mahisagar Nal Se Jal Scam Harish Patel Arrest Cid Crime

મહીસાગરના 123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં વધુ એક ધરપકડ : અત્યાર સુધી 33 આરોપીઓની થઈ છે ધરપકડ

'નળ સે જળ' કૌભાંડમાં ઝડપાયેલા આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 04, 2026, 07:13 AM IST

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 123 કરોડ રૂપિયાના 'નળ સે જળ' કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. કડાણા તાલુકાના લીંભોળા ગામના રહેવાસી અને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હરીશભાઈ રામજીભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હરીશ પટેલ કોન્ટ્રાક્ટર તરીકે નળ સે જળ યોજના અંતર્ગત કામગીરી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.

સીઆઈડી ક્રાઇમની તપાસ મુજબ હરીશભાઈ પટેલે સંતરામપુર તાલુકાના ઉંબેર ગામમાં નળ સે જળ યોજના હેઠળ કામગીરી કરી હતી. તપાસ દરમિયાન સરકારને તેમની પાસેથી રૂપિયા 67,76,252.28 ની રિકવરી બાકી હોવાનું પણ સામે આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા હવે વધીને 33 પર પહોંચી ગઈ છે.

ફરિયાદ બાદ તપાસનો વ્યાપ વધ્યો

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ 22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં કરોડો રૂપિયાની ગેરરીતિઓ અને વિવિધ સ્તરે થયેલા કથિત નાણાકીય અનિયમિતતાઓ બહાર આવવા લાગી હતી.

તપાસ દરમિયાન વાસ્મો (WASMO) હેઠળ અમલમાં આવેલી યોજનાઓમાં કામ કરનાર અનેક એજન્સીઓ, કોન્ટ્રાક્ટરો, કર્મચારીઓ અને પાણી સમિતિઓની ભૂમિકા તપાસના કેન્દ્રમાં આવી હતી. સીઆઈડી ક્રાઇમે દસ્તાવેજી પુરાવા, નાણાકીય વ્યવહારો અને કામગીરીના રેકોર્ડના આધારે કાર્યવાહી આગળ વધારી છે.

આ પણ વાંચો: PM મોદીના સુરત આગમન પૂર્વે શહેરમાં સ્વચ્છતા મહાઅભિયાન : સી.આર. પાટીલથી લઈને પોલીસ તંત્ર અને જનપ્રતિનિધિઓ જોડાયા

ભાજપ કનેક્શન ફરી ચર્ચામાં

હરીશભાઈ પટેલનું રાજકીય જોડાણ પણ આ કેસમાં ચર્ચાનો વિષય બન્યું છે. તેઓ ભાજપના ઉમેદવાર તરીકે મુનપુર બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા હતા અને જીત્યા બાદ જિલ્લા પંચાયત સભ્ય બન્યા હતા. તપાસમાં તેમની ધરપકડ થતાં કૌભાંડમાં રાજકીય જોડાણો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

તપાસ એજન્સીના સૂત્રો મુજબ અત્યાર સુધીમાં આ કૌભાંડમાં છ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અથવા પૂર્વ હોદ્દેદારોના નામ સામે આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, કોઈપણ વ્યક્તિની અંતિમ જવાબદારી અને દોષિતતા અંગેનો નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસમાં મોટો વળાંક : આરોપી તથ્ય પટેલ જેલમાંથી મુક્ત, સુપ્રીમ કોર્ટની આ શરતો સાથે જામીન મંજૂર

અત્યાર સુધી કોની ધરપકડ?

CID ક્રાઈમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી મુજબ અત્યાર સુધી કુલ 33 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વાસ્મોના તત્કાલીન કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, પાણી સમિતિના સરપંચો અને અન્ય સંકળાયેલા વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

તપાસના આંકડા મુજબ તત્કાલીન 12 કર્મચારીઓમાંથી અત્યાર સુધી વાસ્મોના પાંચ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. 111 એજન્સીઓ સામે તપાસ ચાલી રહી છે, જેમાંથી 21 કોન્ટ્રાક્ટરોની ધરપકડ થઈ ચૂકી છે. ફરિયાદમાં સીધા નામ ન હોવા છતાં જેમના ખાતામાં રકમ જમા થઈ હતી એવા ચાર તત્કાલીન કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત પાણી સમિતિ સાથે સંકળાયેલા ત્રણ સરપંચો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

714 ગામોની યોજના

તપાસ દરમિયાન સૌથી ચિંતાજનક બાબત એ સામે આવી છે કે યોજનાના આવરી લેવાયેલા 714 ગામોમાંથી અંદાજે 620 ગામોમાં વિવિધ પ્રકારની ગેરરીતિઓ થયાની વિગતો સામે આવી રહી છે. જો આ આક્ષેપો તપાસમાં સાબિત થાય તો તે રાજ્યની ગ્રામ્ય જળ પુરવઠા વ્યવસ્થા માટે ગંભીર પ્રશ્નો ઉભા કરી શકે છે.

આ સમગ્ર પ્રકરણમાં માત્ર કૌભાંડની રકમ જ નહીં પરંતુ સામાન્ય ગ્રામજનોને મળવાના પીવાના પાણીના હક્ક પર પણ અસર થઈ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે. અનેક ગામોમાં યોજનાના કામ અધૂરા હોવાના, ગુણવત્તા અંગે પ્રશ્નો ઉભા થવાના અને પાણી પુરવઠો નિયમિત ન હોવાના મુદ્દાઓ પણ સામે આવ્યા છે.

આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતને આવતી કાલે મળશે મોટી ભેટ : સુરત મુલાકાત દરમિયાન PM મોદી કરશે ₹18,800 કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ

હવે લોકોનો સવાલ

કૌભાંડ સામે આવ્યા બાદ તપાસ અને ધરપકડોની કાર્યવાહી સતત ચાલી રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે સૌથી મહત્વનો પ્રશ્ન હજુ પણ યથાવત છે. કૌભાંડમાં સંકળાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ સરકાર બાકી રહેલી રકમની વસૂલાત ક્યારે કરશે, અધૂરા કામો ફરી ક્યારે શરૂ થશે અને અસરગ્રસ્ત ગામોને નિયમિત પીવાનું પાણી ક્યારે મળશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

મહીસાગર સહિતના વિસ્તારોમાં હજારો પરિવારો માટે પીવાના પાણીની સુવિધા જીવનજરૂરી મુદ્દો છે. તેથી તપાસ પૂર્ણ થવા સાથે જ બાકી રહેલી યોજનાઓને ગતિ મળે અને લોકોને વચન મુજબ પાણી ઉપલબ્ધ થાય તેવી માંગ ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો તરફથી ઉઠી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now