મહારાષ્ટ્રના જલગાવમાં પરાડા રેલવે સ્ટેશન પાસે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગ્યાની અફવા ફેલાઈ જેમાં ટ્રેનની અંદર યાત્રિકોમાં ભય ફેલાયો, અને અફરાતફરી સર્જાઈ. યાત્રિકોને લાગ્યું કે ટ્રેનમાં આગ લાગી છે, એટલા માટે તેમણે ચાલુ ટ્રેનમાંથી કૂદકો માર્યો. ચાલુ ટ્રેનમાં યાત્રિકોએ કૂદકો માર્યો તે સમયે જ બીજા ટ્રેક પર બીજી ટ્રેન આવતી હતી, આ ટ્રેનની અડફેટે આવવાથી મુસાફરોના અરેરાટીભર્યા મોત નીપજ્યા. રેલવેના પાટા પર મુસાફરોના મૃતદેહના ટુકડા મળી આવ્યા. મૃત્યુઆંક 11ને પાર થયો છે, અને ઈજાગ્રસ્તોની સંખ્યામાં વધારો થઈ શકે છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારજનો માટે રૂ. 5 લાખની સહાયની જાહેરાત કરી છે.
આગથી બચવામાં મોતને જ ભેટ્યા
આ હિચકારી દુર્ઘટનાથી ચારેકોર હાહાકાર મચ્યો. દુર્ઘટના બાદની તસવીરો હ્રદય હચમચાવી દે તેવી છે. મોતની એ ભયાનક ચીસો રૂંવાડા ઉભા કરી દે તેવો છે. પાટા પર કપાયેલા મૃતદેહોના દ્રશ્યો વિચલિત કરી દે તેવી છે. આ દુર્ઘટના બાદ મૃતકોના પરિવારજનો આક્રંદ કરતા જોવા મળ્યા.
દુર્ઘટના બની ત્યા ટ્રેક પર હતો વળાંક
મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્યા અકસ્માત સર્જાયો ત્યા વળાંક હતો. આ કારણથી ટ્રેનમાં રહેલા મુસાફરોને અંદાજો ના રહ્યો કે સામેના ટ્રેક પર બીજી ટ્રેન આવે છે. જો આ વાતનો અંદાજો રહ્યો હોત તો હતભાગી મુસાફરો કર્ણાટક એક્સપ્રેસની ચપેટમાં ના આવ્યા હોત.
શું હતી સમગ્ર ઘટના?
મહત્વનું છે કે પુષ્પક એક્સપ્રેસની B4બોગીની બહાર ધૂમાડો નીકળ્યો હતો, જેના કારણે એવી અફવા ફેલાઈ કે ટ્રેનમાં આગ લાગી છે, અને આ જ કારણથી ટ્રેન રોકવામાં આવી છે. ટ્રેનમાં સવાર ઘણા મુસાફરો ગભરાઈ ગયા, નાસભાગ મચી અને ચાલુ ટ્રેનમાં તેમણે કૂદકો મારી લીધો. તે દરમિયાન જ મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. કર્ણાટક એકસ્પ્રેસની નીચે આવવાથી 12 મુસાફરોના મોત નીપજ્યા. આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે 8 એમ્બ્યુલન્સ બોલાવી લેવાઈ હતી.





