LPG Cylinder Crisis: હાલ ગુજરાત સહિત દેશભરમાં ગેસની અછત ઉભી થઈ છે. તેનું સૌથી મોટું કારણ વૈશ્વિક સ્તરે ચાલતો તણાવ છે. ખાસ કરીને ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ, ગેસ અને શેર માર્કેટ સહિત તમામ મોરચે હડકંપ મચી ગયો છે. ખાસ કરીને મિડલ ઈસ્ટના દેશોમાં વધતા તણાવથી ભારતમાં LPG ગેસની અછત ઉભી થઈ છે. હાલ ગુજરાતના વિવિધ શહેરોમાં પણ જ્યાં જુઓ ત્યાં લોકો રાંધણ ગેસ માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભેલાં જોવા મળી રહ્યાં છે.
જ્યારે બીજી તરફ ઘણા ગ્રાહકો એવા છે જેમણે સિલિન્ડર બુક કરાવી દીધો હોવા છતાં તેમને સમયસર ડિલિવરી મળતી નથી. ગેસની અછતની બૂમો વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર ઘણી ફરિયાદો સામે આવી છે કે કન્ફર્મ બુકિંગ હોવા છતાં કેટલાક ડીલરો ગ્રાહકોને સિલિન્ડર આપવાનો ઇનકાર કરી રહ્યા છે અથવા વધારાના પૈસાની માંગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગ્રાહકોએ શું કરવું જોઈએ અને ફરિયાદ ક્યાં કરવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી છે.
બુકિંગ પછી ડિલિવરીમાં વિલંબ કેમ થાય છે?
LPG સિલિન્ડરનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે બુકિંગ સાયકલ 21 દિવસથી વધારીને 25 દિવસ કરી છે. આ નિર્ણયનો હેતુ દરેક ગ્રાહક સુધી ગેસ સમયસર પહોંચે અને સંગ્રહખોરી જેવી પ્રવૃત્તિઓને રોકવો છે. પરંતુ કેટલીક જગ્યાએ ડીલરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં ગ્રાહકો પાસેથી વધારાના પૈસા માંગવામાં આવે છે અથવા કન્ફર્મ બુકિંગ હોવા છતાં સિલિન્ડર પહોંચાડવામાં વિલંબ કરવામાં આવે છે.
વધારાના પૈસા માંગવા ગેરકાયદેસરઃ
જો કોઈ ડીલર સિલિન્ડર બુક કરાવ્યા પછી ડિલિવરી કરવામાં વિલંબ કરે છે અથવા વધારાના પૈસાની માંગણી કરે છે, તો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને સરકારી નિયમોનું ઉલ્લંઘન છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને શાંતિથી સહન કરવાની જરૂર નથી. તેઓ તાત્કાલિક ફરિયાદ નોંધાવી શકે છે જેથી તેમની સમસ્યાનું નિરાકરણ આવે અને સંબંધિત ડીલર સામે કાર્યવાહી થઈ શકે.
ફરિયાદ ક્યાં નોંધાવી શકાય?
જો તમને ક્યારેય આવી સમસ્યા થાય તો તમે સીધા તમારી LPG કંપનીના હેલ્પલાઇન નંબર અથવા કસ્ટમર કેર પર સંપર્ક કરી શકો છો. ત્યાં તમારી ફરિયાદ નોંધાવી શકાય છે.
ઇન્ડેન ગેસ હેલ્પલાઇન નંબર્સઃ
1800-2333-555 (ટોલ-ફ્રી)
7718955555 (LPG બુકિંગ અને ફરિયાદ)
HP ગેસ હેલ્પલાઇન નંબર્સઃ
1800-2333-555 (ટોલ-ફ્રી)
9493602222 (HP Anytime LPG)
ભારત ગેસ હેલ્પલાઇન નંબર્સઃ
1800-22-4344 (ટોલ-ફ્રી)
7715012345 (LPG બુકિંગ)
ફરિયાદ કરવાથી શું ફાયદો?
હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવાથી ગ્રાહકોને નીચેના લાભ મળે છે:
સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબનો ઝડપી ઉકેલ
ઓવરચાર્જિંગ સામે કાર્યવાહી
ડીલર દ્વારા થયેલા નિયમભંગ માટે શિસ્તભંગના પગલાં
ગ્રાહકોને સમયસર ગેસ સપ્લાય
જો તમે LPG સિલિન્ડર બુક કરાવ્યા પછી પણ સમયસર ડિલિવરી ન મેળવો અથવા ડીલર વધારાના પૈસા માંગે, તો તરત જ કંપનીના હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવો. આથી તમારી સમસ્યા ઉકેલાશે અને ગેરરીતિ કરનાર ડીલર સામે યોગ્ય કાર્યવાહી થઈ શકશે.



















