iran us war: પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ભારતમાં પેટ્રોલિયમ અને LPG સપ્લાયની સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત અને નિયંત્રણમાં છે. તમામ રિટેલ ફ્યુઅલ આઉટલેટ્સ પાસે પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને દેશમાં ક્યાંય પણ પેટ્રોલ, ડીઝલ કે LPGની અછત નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખોટી માહિતી ફેલાવવા માટે ચલાવવામાં આવતા કોઈ પણ ભ્રામક અભિયાનથી ગુમરાહ ન થાય.
ભારત પેટ્રોલિયમ ઉત્પાદનોનો મોટો નિકાસકાર
PIBની અખબારી યાદી મુજબ, ભારત વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઇનર અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પાંચમો સૌથી મોટો નિકાસકાર છે, જે 150 થી વધુ દેશોને રિફાઇન્ડ ઇંધણ પૂરું પાડે છે. ભારત નેટ નિકાસકાર હોવાથી, દેશમાં પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા વ્યવસ્થિત રીતે સુનિશ્ચિત છે. દેશભરના તમામ 1 લાખથી વધુ ફ્યુઅલ આઉટલેટ્સ કોઈપણ અવરોધ વિના કાર્યરત છે.
કેટલા દિવસનો સ્ટોક બાકી છે?
સરકારે સ્ટોક અંગે મહત્વની વિગતો જાહેર કરી છે. ભારતીય તેલ કંપનીઓએ આગામી 60 દિવસ માટે ક્રૂડ ઓઈલના પુરવઠાના કરાર પહેલેથી જ કરી લીધા છે. ભારત પાસે કુલ 74 દિવસની અનામત ક્ષમતા છે, જ્યારે હાલમાં વાસ્તવિક સ્ટોક કવર 60 દિવસ જેટલું છે. આ સ્ટોકમાં ક્રૂડ ઓઈલ, ઉત્પાદિત ઇંધણ અને વ્યૂહાત્મક ભૂગર્ભ ભંડારનો સમાવેશ થાય છે. મધ્ય પૂર્વના સંકટ વચ્ચે પણ આગામી 2 મહિનાની ખરીદી સુરક્ષિત કરી લેવામાં આવી છે.
દેશમાં LPGની કોઈ અછત નથી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં રાંધણ ગેસની કોઈ તંગી નથી. મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘરેલું રિફાઇનરી ઉત્પાદનમાં 40% નો વધારો થયો છે. દૈનિક 80 TMTની જરૂરિયાત સામે સ્થાનિક ઉત્પાદન 50 TMT (જરૂરિયાતના 60% થી વધુ) થઈ ગયું છે. તેલ કંપનીઓ દરરોજ 50 લાખથી વધુ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરી રહી છે. વચ્ચે ગભરાટને કારણે (Panic Booking) માંગ વધીને 89 લાખ સિલિન્ડર સુધી પહોંચી ગઈ હતી, જે હવે ફરી ઘટીને સામાન્ય 50 લાખ પર આવી ગઈ છે.





