લદ્દાખના દુર્ગમ અને અતિઉંચાઈ ધરાવતા વિસ્તારમાં ફરી એકવાર ભારતીય સેનાના હેલિકોપ્ટર અકસ્માતે સૈન્ય વર્તુળોમાં ચિંતા ઊભી કરી છે. લેહના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં આવેલા તાંગત્સે નજીક ભારતીય સેનાનું ચીતાહ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સેનાના 3 અધિકારીઓ સવાર હતા, જેમાં Indian Armyની 3 ડિવિઝન એટલે કે “ત્રિશૂલ ડિવિઝન”ના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC) પણ સામેલ હતા. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ત્રણેય અધિકારીઓનો ચમત્કારી બચાવ થયો છે અને તેમને માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
માહિતી મુજબ, સિંગલ એન્જિન ધરાવતું ચીતાહ હેલિકોપ્ટર બુધવારે અકસ્માતગ્રસ્ત થયું હતું, જોકે ઘટનાની સત્તાવાર માહિતી શનિવારે બહાર આવી હતી. હેલિકોપ્ટરનું સંચાલન એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર કરી રહ્યા હતા. અકસ્માતના કારણો જાણવા માટે સેનાએ કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoI)ના આદેશ આપ્યા છે.
લદ્દાખમાં ઉડાન કેમ બને છે સૌથી મોટો પડકાર?
લદ્દાખ અને સિયાચીન જેવા વિસ્તારોમાં હેલિકોપ્ટર ઓપરેશન વિશ્વના સૌથી મુશ્કેલ ઉડ્ડયન ક્ષેત્રોમાં ગણાય છે. નિવૃત્ત એર વાયસ માર્શલ મનમોહન બહુદરએ આ અકસ્માત અંગે જણાવ્યું હતું કે ઊંચાઈવાળા વિસ્તારોમાં હવાની ઘનતા ખૂબ ઓછી હોવાથી હેલિકોપ્ટરને પૂરતી લિફ્ટ અને એન્જિન પાવર મળતી નથી.
તેમણે જણાવ્યું કે પાઇલટ પાસે આવા સમયે બહુ ઓછા વિકલ્પો રહે છે. ખાસ કરીને 18,000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડાન ભરવી અત્યંત જોખમી બને છે. પાતળી હવાના કારણે રોટર બ્લેડની ક્ષમતા ઘટે છે અને એન્જિનને પણ જરૂરી શક્તિ મળતી નથી. પરિણામે, સામાન્ય કામગીરી માટે પણ વધુ સોર્ટી કરવી પડે છે. મનમોહન બહુદર પોતે લેહમાં સ્થિત ચીતાહ હેલિકોપ્ટર યુનિટ “સિયાચીન પાયોનિયર્સ”નું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે અકસ્માતનું સાચું કારણ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
ચીતાહ હેલિકોપ્ટર
HAL Cheetah હેલિકોપ્ટર વર્ષ 1971માં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવ્યું હતું અને ત્યારથી હિમાલયી વિસ્તારોમાં આ હેલિકોપ્ટર જીવનરેખા સમાન બની ગયું છે. ઊંચાઈ પર કામગીરી કરવાની તેની ક્ષમતા માટે તે જાણીતા રહ્યા છે. સિયાચીન ગ્લેશિયર, લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા દુર્ગમ વિસ્તારોમાં ચીતાહ હેલિકોપ્ટર સૈનિકોને ખોરાક, દવાઓ, હથિયારો અને જરૂરી સામાન પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, ઘાયલ જવાનોને રેસ્ક્યૂ કરવા અને એર એમ્બ્યુલન્સ તરીકે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
ભારતીય સેનાના અનેક દૂરદરાજના પોસ્ટ જેમ કે બાણા ટોપ, અશોક અને સોનમ પોસ્ટ સુધી પહોંચવાનો એકમાત્ર ઝડપી રસ્તો ઘણીવાર આ હેલિકોપ્ટર જ હોય છે. આ પોસ્ટો 19,000 થી 21,000 ફૂટ જેટલી ઊંચાઈએ આવેલી છે, જ્યાં સામાન્ય વાહન વ્યવહાર લગભગ અશક્ય છે.
આ પણ વાંચો: શાળાની ફી મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય : વાલીઓ માટે શું બદલાશે? જાણો સંપૂર્ણ માહિતી
જુના ફ્લીટને લઈને ફરી ચર્ચા
આ અકસ્માત બાદ ભારતીય સેનાના જૂના ચીતાહ અને ચેતક હેલિકોપ્ટર ફ્લીટની સલામતી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. વર્ષોથી સેવા આપી રહેલા આ હેલિકોપ્ટરો હવે ટેક્નોલોજીકલી જૂના બની રહ્યા છે અને તેમના મેન્ટેનન્સનો ખર્ચ પણ વધી રહ્યો છે. ભારતીય સેના આગામી દાયકામાં આ જૂના હેલિકોપ્ટરોને તબક્કાવાર હટાવી આધુનિક લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર (LUH) ને સામેલ કરવાની યોજના પર કામ કરી રહી છે. Hindustan Aeronautics Limited દ્વારા વિકસાવવામાં આવેલ LUH ખાસ કરીને લદ્દાખ અને સિયાચીન જેવી અતિઉંચાઈની પરિસ્થિતિઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
નવા LUHમાં શું છે ખાસ?
HAL Light Utility Helicopterને 2009માં મંજૂરી આપવામાં આવી હતી અને હવે તેને ભારતીય સેનાના આધુનિકીકરણનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. શક્તિ-1U ટર્બોશાફ્ટ એન્જિનથી સજ્જ આ હેલિકોપ્ટર 21,300 ફૂટ સુધી ઉડાન ભરવાની ક્ષમતા ધરાવે છે. LUH વિશ્વના સૌથી ઊંચા હેલિપેડમાંના એક સોલ્ટોરો રિજ પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરી ચૂક્યું છે. તે 235 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે અને તેમાં બે ક્રૂ સભ્યો ઉપરાંત છ સૈનિકોને લઈ જવાની ક્ષમતા છે.
આ હેલિકોપ્ટરમાં ડિજિટલ ગ્લાસ કોકપિટ, નાઈટ વિઝન ડિવાઈસ સાથે સુસંગત સિસ્ટમ અને આધુનિક નેવિગેશન ટેક્નોલોજી સામેલ છે. મેડિકલ ઈવેક્યુએશન, ટ્રૂપ ટ્રાન્સપોર્ટ, રેકોનિસન્સ અને VIP મિશન સહિત અનેક કામગીરી માટે તેને ઉપયોગમાં લઈ શકાય છે.





