Bharathiraja Passed Away: ભારતીય સિનેમાના ઇતિહાસમાં કેટલાક એવા સર્જકો થયા છે જેમણે માત્ર ફિલ્મો બનાવી નહીં, પરંતુ આખા ફિલ્મ ઉદ્યોગની દિશા જ બદલી નાખી. દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાં એવું જ એક અવિસ્મરણીય નામ હતું ભારતીરાજા. ગામડાંની સંસ્કૃતિ, સામાન્ય લોકોના જીવનસંઘર્ષ અને વાસ્તવિક લાગણીઓને મોટા પડદા પર જીવંત કરનાર આ દિગ્ગજ દિગ્દર્શકે હવે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના અવસાનના સમાચાર સામે આવતા તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર ભારતીય સિનેમામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 84 વર્ષની વયે ચેન્નઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ અસ્વસ્થ હતા અને સારવાર હેઠળ હતા. તેમના નિધન સાથે ભારતીય સિનેમાએ એક એવા સર્જકને ગુમાવ્યો છે જેણે સ્ટુડિયો આધારિત ફિલ્મ નિર્માણને ગામડાંના ખેતરો, કાચા રસ્તાઓ અને સામાન્ય લોકોની વાસ્તવિક દુનિયા સુધી પહોંચાડ્યું હતું.
તમિલ સિનેમામાં ક્રાંતિ લાવનાર દિગ્દર્શક
ભારતીરાજાનો જન્મ 17 જુલાઈ, 1941ના રોજ તમિલનાડુના થેની જિલ્લાના અલ્લીનગરમ ગામમાં ચિન્નાસામી તરીકે થયો હતો. સામાન્ય પરિવારમાં જન્મેલા ભારતીરાજાએ પોતાના સંઘર્ષ અને પ્રતિભાના બળે દક્ષિણ ભારતીય સિનેમામાં અનોખું સ્થાન બનાવ્યું. 1977માં આવેલી તેમની પ્રથમ ફિલ્મ ‘16 વાયતિનિલે’એ તમિલ સિનેમાની દિશા બદલી નાખી હતી. તે સમય સુધી મોટા ભાગની ફિલ્મો સ્ટુડિયોમાં શૂટ થતી હતી, પરંતુ ભારતીરાજાએ કેમેરાને ગામડાં સુધી પહોંચાડ્યો અને પ્રાકૃતિક લોકેશન પર ફિલ્મો બનાવવાની નવી પરંપરા શરૂ કરી. આ ફિલ્મમાં કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા કલાકારો હતા અને ફિલ્મે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મેળવી હતી.
આ પણ વાંચો: Alpha Teaser Out: 18મા જન્મદિવસે બોબી દેઓલે આલિયા ભટ્ટને આપી ખતરનાક ગિફ્ટ
‘ઇયક્કુનાર ઇમયમ’ તરીકે મળ્યું સન્માન
તમિલ ફિલ્મ ઉદ્યોગમાં ભારતીરાજાને પ્રેમથી ‘ઇયક્કુનાર ઇમયમ’ એટલે કે ‘દિગ્દર્શકોના એવરેસ્ટ’ તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે પોતાના લગભગ પાંચ દાયકાના કારકિર્દીમાં 40થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમની ફિલ્મોમાં ગ્રામ્ય જીવન, સામાજિક અસમાનતા, જાતિવાદ, મહિલા પ્રશ્નો અને માનવીય સંબંધો જેવા વિષયો કેન્દ્રસ્થાને રહેતા હતા. તેમની ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સમાજને વિચારવા મજબૂર કરતી હતી.
અનેક કલાકારોને આપ્યો મોટો બ્રેક
ભારતીરાજા માત્ર સફળ દિગ્દર્શક જ નહોતા, પરંતુ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ ટેલેન્ટ હન્ટર તરીકે પણ ઓળખાતા હતા. તેમણે અનેક નવા કલાકારોને ફિલ્મ જગતમાં તક આપી હતી. રાધિકા, રેવતી, રાધા, રેખા, રંજિતા જેવા કલાકારોને તેમણે નવી ઓળખ આપી હતી. ઉપરાંત કાર્તિક, પાંડિયન, નેપોલિયન, જનકરાજ અને અન્ય અનેક કલાકારોની કારકિર્દી ઘડવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો હતો. તેમની એક વિશેષતા એવી પણ હતી કે તેઓ ઘણા નવા કલાકારોના નામ ‘R’ અક્ષરથી શરૂ થતા રાખતા હતા.
યાદગાર ફિલ્મોની લાંબી યાદી
ભારતીરાજાની ફિલ્મોગ્રાફી અનેક યાદગાર ફિલ્મોથી ભરપૂર છે. ‘સિગપ્પુ રોજક્કલ’ (1978) એક સાયકોલોજિકલ થ્રિલર તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. ‘અલૈગલ ઓઇવથિલ્લૈ’ (1981)એ પ્રેમ, ધર્મ અને જાતિ વચ્ચેના સંઘર્ષને અસરકારક રીતે રજૂ કર્યો હતો. 1985માં આવેલી ‘મુધલ મરિયાથાઈ’માં દિગ્ગજ અભિનેતા શિવાજી ગણેશન સાથે તેમણે એક અનોખી અને પરિપક્વ પ્રેમકથા રજૂ કરી હતી. જ્યારે ‘કરુથમ્મા’ (1994)માં મહિલા ભ્રૂણહત્યાના ગંભીર મુદ્દાને ઉઠાવી સમાજને ઝંઝોળી નાખ્યો હતો.
રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અનેક સન્માન
ભારતીરાજાના યોગદાનને ધ્યાનમાં રાખીને તેમને અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે છ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ચાર ફિલ્મફેર એવોર્ડ (સાઉથ), છ તમિલનાડુ રાજ્ય ફિલ્મ એવોર્ડ અને એક નંદી એવોર્ડ જીત્યા હતા. ભારતીય સિનેમામાં તેમનું સ્થાન માત્ર એક દિગ્દર્શક તરીકે નહીં, પરંતુ એક એવા સર્જક તરીકે છે જેણે ફિલ્મોને લોકોના જીવન સાથે સીધી રીતે જોડવાનો પ્રયાસ કર્યો.
ફિલ્મ જગત અને રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યો શોક
ભારતીરાજાના અવસાન બાદ ફિલ્મ જગત અને રાજકીય ક્ષેત્રના અનેક દિગ્ગજોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. દિગ્દર્શક એસ.એસ. રાજામૌલીએ તેમને ભારતીય સિનેમાના સાચા પાયોનિયર ગણાવ્યા. તેમણે જણાવ્યું કે ભારતીરાજાએ પોતાના વાસ્તવિક અને નિર્ભય સ્ટોરીટેલિંગ દ્વારા સિનેમાને નવી ઓળખ આપી હતી. ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે ભારતીરાજાએ ભારતીય સિનેમાને એક નવી દિશા આપી હતી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તેમના નિધનને ભારતીય સિનેમાની અપુરણીય ક્ષતિ ગણાવી હતી.
રાજ્ય સન્માન સાથે થશે અંતિમ વિદાય
તમિલનાડુ સરકારે ભારતીરાજાને રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. તેમના નિધનના શોકમાં ટેલિવિઝન અને OTT ઇન્ડસ્ટ્રીની કેટલીક સંસ્થાઓએ પણ શૂટિંગ સ્થગિત રાખવાની જાહેરાત કરી છે.
ભારતીરાજાના અવસાન સાથે એક યુગનો અંત આવ્યો છે, પરંતુ તેમની ફિલ્મો, તેમની કહાણીઓ અને તેમની અનોખી ફિલ્મી દ્રષ્ટિ આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.





