Ahmedabad : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 8 મી માર્ચના રોજ ICC Men’s T20 વર્લ્ડ કપ 2026 ની ભવ્ય ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના આ મહાજંગને જોવા માટે લાખોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડશે. આ ભીડને નિયંત્રિત કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
અમલીકરણનો સમયગાળો : ક્યારે નિયમો લાગુ થશે?
ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ, આ નિયમો બે દિવસ સુધી અમલી રહેશે. 8 માર્ચ, 2026 ના રોજ સવારે 10:00 વાગ્યાથી રાત્રિના 12:00 વાગ્યા સુધી અને ત્યારબાદ 9 માર્ચ, 2026ના રોજ રાત્રિના 00:00 વાગ્યાથી મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી ટ્રાફિક પ્રતિબંધો અને ડાયવર્ઝન અમલમાં રહેશે.
પ્રતિબંધિત માર્ગ : કયા રસ્તાઓ બંધ રહેશે?
મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના ચોક્કસ માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈને કૃપા રેસીડેન્સી ટી અને મોટેરા ગામ ટી સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવામાં આવશે. આ માર્ગ પર સામાન્ય વાહનચાલકો અવરજવર કરી શકશે નહીં.
વૈકલ્પિક વ્યવસ્થા : મુસાફરી માટે આ રસ્તાઓનો ઉપયોગ કરો
નાગરિકોને હાલાકી ન પડે તે માટે ટ્રાફિક પોલીસે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી છે:
રૂટ 1 : તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધરાવળ સર્કલ સુધીના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
રૂટ 2 : કૃપા રેસીડેન્સી ટી થી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ જઈ શકાશે.
કાયદાકીય કાર્યવાહી : જાહેરનામાના ભંગ બદલ સજા
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, જે કોઈ વ્યક્તિ આ જાહેરનામાના આદેશોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-223 અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓને સત્તા આપવામાં આવી છે.




















