ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારી અને તેમના પતિ અશોક ચૌધરી વચ્ચે ચાલી રહેલા વૈવાહિક વિવાદ વચ્ચે હવે એક નવો અને ગંભીર વળાંક સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સમી તાલુકામાં અશોક ચૌધરી પર હુમલાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે અશોક ચૌધરીએ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદની વિગતો અનુસાર, ફેમિલી કોર્ટની કાર્યવાહી બાદ પરત ફરી રહ્યા હતા ત્યારે કેટલાક શખ્સોએ તેમને રોકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મતભેદ ચાલી રહ્યા છે અને છૂટાછેડાની પ્રક્રિયા પણ ચાલુ છે. આ જ વિવાદના સંદર્ભમાં બંને પક્ષો વચ્ચે કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
સમી તાલુકાના સબદલપુરા નજીક બનાવ બન્યાનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અશોક ચૌધરી સમી ફેમિલી કોર્ટમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સમી તાલુકાના સબદલપુરા નજીક ચાર જેટલા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો. ફરિયાદ મુજબ, હુમલાખોરો તીક્ષ્ણ હથિયારો સાથે આવ્યા હતા અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે અશોક ચૌધરી કોઈ રીતે બચી જતા મોટી દુર્ઘટના ટળી હોવાનું જણાવાયું છે.
ફરિયાદમાં બે આરોપીઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું FIR ની નકલમાં જોવા મળે છે, જ્યારે અન્ય કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે પણ આરોપ મૂકવામાં આવ્યા છે.
બોટાદ APMCની બીજી ટર્મ માટેની હતી ચૂંટણી: ડી.એમ. પટેલ ચેરમેન અને રણજીતભાઈ વાળા ડે.ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા
છૂટાછેડાના વિવાદ સાથે જોડાયેલા આક્ષેપ
અશોક ચૌધરીનો આરોપ છે કે છૂટાછેડાના મામલે તેમની અસહમતિને કારણે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે. ફરિયાદમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે કિંજલ રબારીના પક્ષના કેટલાક લોકો દ્વારા દબાણ અને ધમકીઓ આપવામાં આવી રહી હતી.
જોકે આ તમામ આક્ષેપો ફરિયાદી પક્ષના છે અને પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સત્યતા સ્પષ્ટ થશે. હાલ સુધી કિંજલ રબારી અથવા તેમના પક્ષ તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા જાહેર થઈ હોવાનું સામે આવ્યું નથી.
પોલીસ દ્વારા તપાસ શરૂ
સમી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. FIR મુજબ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ હવે ઘટનાસ્થળના પુરાવા, સાક્ષીઓના નિવેદન, મોબાઇલ લોકેશન સહિતના ટેક્નિકલ પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ હુમલાના પ્રયાસ પાછળનું સાચું કારણ અને જવાબદારો અંગે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
CA ભાણેજે જ મામાને લગાવ્યો ₹10,39,15,519 નો ચુનો?: અમદાવાદ EOWએ ઉકેલ્યો કરોડોની છેતરપિંડીનો કેસ
કિંજલ રબારીના વ્યક્તિગત જીવનને લઈને ફરી ચર્ચા
ગુજરાતી લોકસંગીત જગતમાં જાણીતા નામ તરીકે કિંજલ રબારી સતત ચર્ચામાં રહેતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેમના વ્યક્તિગત જીવન અને વૈવાહિક વિવાદને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે. હવે પતિ પર હુમલાના પ્રયાસની ફરિયાદ સામે આવતા આ મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ હોવાથી તપાસના પરિણામો અને બંને પક્ષોની સત્તાવાર રજૂઆતો બાદ જ આગળનું ચિત્ર સ્પષ્ટ થશે.






