ખેડબ્રહ્મામાં પોન્ઝી સ્કિમ મામલે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર વિરુદ્ધ રોકાણકારોની છેતરપિંડી આચરવાના આક્ષેપ સાથે ગુનો નોંધાયો છે.
ફરિયાદ અનુસાર, એપી કન્સલ્ટન્સી નામથી કાર્યરત ઓફિસ દ્વારા ક્રિપ્ટો અને બિટકોઈનમાં ઊંચા વળતર આપવાની લાલચ આપી રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. ખાસ કરીને ખેડબ્રહ્માના અનેક રોકાણકારો પાસેથી અંદાજે 52.24 લાખ રૂપિયાનું રોકાણ મેળવી બાદમાં ઓફિસ અચાનક બંધ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
રોકાણકારોને ટૂંકા ગાળામાં મોટો નફો મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પરંતુ વચન મુજબ વળતર ન મળતા અને ઓફિસ બંધ થતાં રોકાણકારોએ પોલીસનો દરવાજો ખડખડાવ્યો હતો.
ખેડબ્રહ્મા પોલીસએ આ મામલે જીપીઆઈડી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા નાણાકીય વ્યવહારો અને અન્ય સંકળાયેલા લોકો અંગે તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ હિંમતનગરમાં પણ એપી ગ્રુપના સંચાલકો સામે આવી જ ફરિયાદ નોંધાઈ હતી. ઉપરાંત બીઝેડ ગ્રુપ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ પણ તાજેતરમાં સામે આવ્યા છે.



















