Ketan Agarwal Case : મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં આવેલા લોહાગઢ કિલ્લા ખાતે કેતન અગ્રવાલની થયેલી નિર્મમ હત્યાને લગભગ એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે. સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલા આ કેસમાં હવે એક મહત્વપૂર્ણ અને ભાવનાત્મક વળાંક આવ્યો છે. મૃતક કેતન અગ્રવાલના પિતા વિશાલ અગ્રવાલે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઈ-મેલ મોકલી પોતાના પુત્રને ઝડપથી ન્યાય અપાવવાની અપીલ કરી છે. વિશાલ અગ્રવાલે પોતાના ઈ-મેલમાં જણાવ્યું છે કે તેમના પુત્રનો કેસ માત્ર સરકારી પ્રક્રિયાનો એક ભાગ બનીને ન રહી જાય. તેમણે વિનંતી કરી છે કે કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને તેની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરવામાં આવે, જેથી આરોપીઓને વહેલી તકે કાયદેસરની સજા મળી શકે.
"હું માત્ર ન્યાય માગતો એક પિતા છું"
રાષ્ટ્રપતિને લખાયેલા પત્રમાં વિશાલ અગ્રવાલે પોતાની વ્યથા વ્યક્ત કરતાં લખ્યું છે કે તેઓ આ અરજી કોઈ ઉદ્યોગપતિ કે પ્રભાવશાળી વ્યક્તિ તરીકે નથી કરી રહ્યા, પરંતુ પોતાના યુવાન પુત્રને ગુમાવનારા એક પિતા તરીકે કરી રહ્યા છે. તેમણે લખ્યું છે, "મહામહિમ, હું આ પત્ર કોઈ પ્રભાવશાળી વ્યક્તિ તરીકે નહીં, પરંતુ સંપૂર્ણપણે તૂટી ગયેલા પિતા તરીકે લખી રહ્યો છું. મારી એકમાત્ર વિનંતી છે કે મારા દિવંગત પુત્રને વહેલી તકે ન્યાય મળે."
આ પણ ખાસ વાંચો : કેતનના મર્ડર પહેલાં જ સિયાએ ચેતન સાથે કર્યા હતા ગુપ્ત લગ્ન? : WhatsApp ચેટ્સ અને ડિજિટલ પુરાવાથી ખૂલ્યું 4 મહિના જૂના સંબંધનું રહસ્ય!
18 જૂનની ઘટનાએ પરિવારને હચમચાવી દીધો
વિશાલ અગ્રવાલના જણાવ્યા મુજબ, 18 જૂનના રોજ તેમના પુત્ર કેતન અગ્રવાલને લગભગ 400 ફૂટ ઊંડી ખીણમાં ધકેલી દેવામાં આવ્યો હતો, જેના કારણે તેનું કરુણ મોત થયું હતું. આ ઘટનાએ સમગ્ર પરિવારને ભારે આઘાત પહોંચાડ્યો હતો. પત્રમાં તેમણે વધુમાં ઉલ્લેખ કર્યો છે કે કેતનના અવસાનના માત્ર 20 દિવસ બાદ તેમના પિતાનું પણ નિધન થયું. તેમના જણાવ્યા અનુસાર, દાદા પોતાના પૌત્ર સાથે અત્યંત લાગણીસભર સંબંધ ધરાવતા હતા અને આ આઘાત સહન કરી શક્યા નહોતા. એક જ ઘટનાએ પરિવારની ખુશીઓ છીનવી લીધી હોવાનું તેમણે જણાવ્યું છે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ
વિશાલ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ વિશેષ સુવિધા, કાયદાકીય રાહત અથવા VIP વ્યવહારની માંગ કરી રહ્યા નથી. તેમની માત્ર એટલી જ માંગ છે કે કેસની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. તેમણે જણાવ્યું છે કે સમયસર સુનાવણી અને ઝડપી ચુકાદો માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમાજમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ જાળવવા માટે પણ જરૂરી છે. તેમના મતે, જો આરોપીઓને ઝડપથી સજા મળશે તો ભવિષ્યમાં આવા ગંભીર ગુનાઓ પર પણ નિયંત્રણ લાવવામાં મદદ મળશે.
આ પણ ખાસ વાંચો : પૌત્રના મોતનો આઘાત કે કેન્સર? : કેતન અગ્રવાલના દાદાના નિધન બાદ સામે આવ્યું સિયા ગોયલના પરિવારનું પ્રથમ નિવેદન
તપાસ અને આગળની કાર્યવાહી પર નજર
કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ હાલ સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા ચાલુ છે. આ દરમિયાન પિતાએ સીધી રાષ્ટ્રપતિ સમક્ષ ન્યાય માટે અપીલ કરતાં કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે જોવાનું રહેશે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી અંગે સંબંધિત સત્તાધિકારીઓ કોઈ નિર્ણય લે છે કે નહીં.





