મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક એનર્જી સપ્લાયમાં અવરોધને કારણે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. સામાન્ય લોકો માટે રાહતરૂપ પગલાં તરીકે હવે ફરી રેશન દુકાનો પર કેરોસીન (માટીનું તેલ) ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને એવા વર્ગ માટે મહત્વપૂર્ણ છે, જે આજે પણ રસોઈ અને પ્રકાશ માટે પરંપરાગત ઈંધણ પર નિર્ભર છે.
વિશ્વભરમાં વધતા જીઓ-પોલિટિકલ તણાવનો સીધો અસર એનર્જી સપ્લાય પર પડી રહ્યો છે. ખાસ કરીને મિડલ ઈસ્ટ વિસ્તારમાં ચાલી રહેલી સ્થિતિને કારણે તેલ અને LPG જેવી જરૂરી ઊર્જા સ્ત્રોતોની ઉપલબ્ધતા અંગે ચિંતા વધી છે. આવી સ્થિતિમાં ભારત સરકારે ઝડપી પગલું ભર્યું છે અને સામાન્ય જનતાને રાહત આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. 30 માર્ચે કેન્દ્ર સરકારે જાહેરાત કરી કે દેશના અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફરીથી રેશન દુકાનો અને પસંદગીના પેટ્રોલ પંપ પર કેરોસીન ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણય એનર્જી સપ્લાયમાં આવેલી અનિશ્ચિતતા અને LPG ઉપલબ્ધતામાં અવરોધને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કયા રાજ્યોમાં મળશે કેરોસીન?
આ યોજનામાં કુલ 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ગોવા, ગુજરાત, સિક્કિમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત દિલ્હી, ચંડીગઢ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પુડુચેરી, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવ, અને અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોને પણ મંજૂરી આપવામાં આવી છે.
કેટલા સમય સુધી મળશે અને શું રહેશે વ્યવસ્થા?
સરકારે આ યોજના પ્રાથમિક રીતે 60 દિવસ માટે અમલમાં મૂકી છે, જે 29 માર્ચથી શરૂ થઈ છે. આગળની પરિસ્થિતિને આધારે તેનો સમયગાળો વધારી શકાય છે.
આ યોજના હેઠળ:
રેશન દુકાનો પર યોગ્ય કિંમતે કેરોસીન આપવામાં આવશે
દરેક જિલ્લામાં વધુમાં વધુ 2 પેટ્રોલ પંપને વેચાણની મંજૂરી મળશે
આ પેટ્રોલ પંપ પર મહત્તમ 5000 લીટર સુધી સ્ટોક રાખી શકાશે
કેન્દ્ર સરકારે રાજ્યોને તેમના નિયમિત ક્વોટા સિવાય વધારાના 48,000 કિલોલીટર સુપિરિયર કેરોસીન તેલ ફાળવ્યું છે. પ્રતિ પરિવાર કેટલું તેલ મળશે તે રાજ્ય સરકારો સ્થાનિક માંગ અને ઉપલબ્ધતા પ્રમાણે નક્કી કરશે.
ઉપયોગ માટે કડક નિયમો
સરકારે કેરોસીનના ઉપયોગ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. આ તેલનો ઉપયોગ માત્ર ઘરેલુ જરૂરિયાતો માટે જ કરી શકાશે, જેમ કે:
રસોઈ
પ્રકાશ
ઔદ્યોગિક અથવા વેપારિક ઉપયોગ માટે કેરોસીનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે સબસિડાઈઝ્ડ ઈંધણનો લાભ માત્ર સામાન્ય નાગરિકોને જ મળે.
પહેલાં કેમ બંધ કરવામાં આવ્યું હતું?
પાછલા કેટલાક વર્ષોમાં PDS (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ) હેઠળ કેરોસીન સપ્લાય ધીમે ધીમે બંધ કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ હતું LPG જેવી સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવું.
પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફરી એક વખત પરંપરાગત ઈંધણને ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.





