Kerala :ગુનો ગમે તે હોય, તે ક્યારેય છુપાયેલો રહેતો નથી. જે વ્યક્તિ તેને આચરે છે તેની હકીકત તેને અંદરથી ત્રાસ આપતી રહે છે. કેરળમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ૪૦ વર્ષ પહેલાં થયેલા ગુનાનું રહસ્ય તે સહન કરી શક્યો નહીં પછી મોહમ્મદ અલી પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કર્યો.આ કેસ કેરળના કોઝિકોડનો છે. અહીં શુક્રવારે, મોહમ્મદ અલી નામનો એક વ્યક્તિ મલપ્પુરમ જિલ્લાના વેંગારા પોલીસ સ્ટેશનમાં આવ્યો અને તેણે ૪૦ વર્ષ પહેલાં એક વ્યક્તિની હત્યા કરવાનો ગુનો કબૂલ્યો. રસપ્રદ વાત એ છે કે પોલીસને ક્યારેય ખબર પડી નહીં કે તેણે જે વ્યક્તિની હત્યા કરી હતી તેની ખરેખર હત્યા થઈ હતી.
મોહમ્મદ અલીએ પોલીસને જણાવ્યું કે ૧૯૮૬માં, જ્યારે તે સગીર હતો, ત્યારે તેણે એક વ્યક્તિની હત્યા કરી હતી જેનું નામ તે જાણતો પણ નહોતો. અલીએ અધિકારીઓને જણાવ્યું કે આ ઘટના બની ત્યારે તે માત્ર ૧૪ વર્ષનો હતો. તે કોઝીકોડ જિલ્લાના તિરુવંબડી પોલીસ સ્ટેશન વિસ્તારના કુદરનજી ગામમાં દેવસ્ય નામના વ્યક્તિની મિલકત પર કામ કરતો હતો.વધુમાં, મોહમ્મદ અલીએ પોલીસને જણાવ્યું કે તે દિવસ એક વ્યક્તિએ તેને હેરાન કરવાનો પ્રયાસ કર્યો. સ્વબચાવમાં, તેણે તે વ્યક્તિને લાત મારી, જેના કારણે તે નજીકની નદીમાં પડી ગયો. ગભરાટમાં તે સ્થળ પરથી ભાગી ગયો. જ્યારે તે બે દિવસ પછી પાછો ફર્યો, ત્યારે તેણે જોયું કે તે વ્યક્તિનો મૃતદેહ હજુ પણ પાણીમાં પડેલો હતો. ડરને કારણે તે સમયે તે ચૂપ જ રહ્યો.જ્યારે પોલીસને નદીમાં લાશ મળી, ત્યારે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો. તે સમયે, સ્થાનિક લોકોએ કહ્યું હતું કે તે વ્યક્તિ વાઈ નામના રોગથી પીડાતો હતો. લાશની ઓળખ કરવા માટે કોઈ આગળ આવ્યું નહીં. કોઈ સુરાગ ન મળતાં મામલો ઠંડો પડી ગયો. પરંતુ મોહમ્મદ અલી માટે આ મામલો ક્યારેય સમાપ્ત થયો નહીં.મોહમ્મદ અલી, જે હવે લગભગ 50 વર્ષના છે, તેણે પોલીસને જણાવ્યું કે ગુનાના પસ્તાવાનો બોજ તેના માટે ખૂબ ભારે થઈ ગયો હતો, ખાસ કરીને જ્યારે તેનો પરિવાર મુશ્કેલીમાં હતો. પોલીસના જણાવ્યા મુજબ, અલીના મોટા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેનો નાનો દીકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો.પોલીસનું કહેવું છે કે આ પછી મોહમ્મદ અલીને સમજાયું કે તેણે પોતાની ભૂલ કબૂલ કરવી જોઈએ. પરિવાર પર આવી પડેલી મુશ્કેલીઓના પૂરને કારણે તે ઊંઘી પણ શક્તો ન હતો. તેથી તે પોલીસ સ્ટેશન ગયો અને પોતાનો ગુનો કબૂલ કર્યો. તે પોતે પોલીસકર્મીઓને તે જગ્યાએ લઈ ગયો જ્યાં લાશ એક સમયે પડી હતી.હવે તિરુવંબડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ કે. પ્રજેશની આગેવાની હેઠળની એક ટીમ મૃતકની ઓળખ શોધવા માટે જૂની ફાઇલો અને અખબારો શોધી રહી છે. હાલમાં, બાકી રહેલો એકમાત્ર રેકોર્ડ 5 ડિસેમ્બર 1986 ના રોજના એક નાના સમાચાર માં છે. તેમાં લખ્યું છે કે, કુદરંજી: મિશન હોસ્પિટલ પાછળ એક નાની નહેરમાંથી એક યુવાનનો મૃતદેહ મળ્યો. અંદાજિત ઉંમર: 20 વર્ષ. પોલીસે મોહમ્મદ અલી સામે હત્યાનો કેસ નોંધ્યો છે. તેને ન્યાયિક કસ્ટડી કાજે જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.






