ભાવનગરના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના આપઘાતની ઘટનાએ સમગ્ર પોલીસ વિભાગ અને શહેરમાં ભારે ચકચાર જગાવી છે. ફરજ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ દુઃખદ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો દ્વારા ઘોઘા પોલીસ મથકના પીએસઆઈ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
જિલ્લા પોલીસ વડાને યોગ્ય તપાસની કરી માગ
મૃતક કોન્સ્ટેબલના પરિવારજનો ન્યાયની માંગ સાથે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયને મળ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગત રજૂ કરી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરિવારજનોનું કહેવું છે કે ફરજ દરમિયાન થયેલા માનસિક દબાણ અને વર્તનને કારણે દિગ્વિજયસિંહ આ પગલું ભરવા મજબૂર બન્યા હતા.
'ન્યાસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો...'
આ મામલે રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્રસિંહ જાડેજા ભાવનગર પહોંચ્યા હતા. તેમના સાથે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો પણ જોડાયા હતા. કરણી સેનાના અધ્યક્ષ વીરેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહના ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી. આ અવસરે કરણી સેનાના નેતાઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આગામી 72 કલાકમાં પોલીસ તંત્ર દ્વારા આ મામલે કોઈ યોગ્ય અને ન્યાયસંગત કાર્યવાહી કરવામાં નહીં આવે, તો કરણી સેના દ્વારા આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અને કર્મચારીઓના માનસિક દબાણ અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.




















