Local Body Polls 2026: લોકશાહીના પર્વને ઉજવવા માટે ગુજરાત સજ્જ છે, ત્યારે વધુમાં વધુ લોકો મતદાન મથક સુધી પહોંચે તે માટે રાજ્યની વિવિધ સંસ્થાઓએ કમર કસી છે. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધારવા માટે આ વખતે માત્ર સરકારી તંત્ર જ નહીં, પરંતુ ખાનગી ક્લબ, સહકારી મંડળીઓ અને વેપારી સંગઠનો પણ મેદાને આવ્યા છે. મતદારોને પ્રોત્સાહિત કરવા માટે ક્યાંક સસ્તું પેટ્રોલ તો ક્યાંક જમવામાં મોટી છૂટ અને વ્યાજદરમાં રાહત જેવી આકર્ષક સ્કીમોની જાહેરાત કરવામાં આવી છે. આ નવતર પ્રયોગોનો મુખ્ય હેતુ નાગરિકોને તેમની નૈતિક ફરજ પ્રત્યે જાગૃત કરવાનો છે. જ્યારે આકરી ગરમીના દિવસો હોય ત્યારે લોકોમાં મતદાન પ્રત્યે આળસ ન જોવા મળે તે માટે સંસ્થાઓએ આર્થિક લાભ સાથે દેશપ્રેમને જોડવાનો પ્રયાસ કર્યો છે. ચાલો જાણીએ, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ મતદાન કરનારાઓને લોટરી લાગવાની છે.
1. અમદાવાદની શાન: કર્ણાવતી અને રાજપથ ક્લબમાં 25% ડિસ્કાઉન્ટ
લોકશાહીના મહાપર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓએ આકર્ષક અને પ્રોત્સાહક પહેલ કરી છે. અમદાવાદના પ્રતિષ્ઠિત કર્ણાવતી અને રાજપથ ક્લબ દ્વારા તેમના આશરે 15,000 ફેમિલી મેમ્બર્સ માટે ખાસ ઓફર જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત, જે સભ્યો મતદાન કરીને પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવશે, તેમને ક્લબની તમામ રેસ્ટોરન્ટમાં ખાણી-પીણી પર ૨૫ ટકાનું તોતિંગ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ લાભ 26 થી 28 એપ્રિલ એમ સતત ત્રણ દિવસ સુધી મળવાપાત્ર રહેશે, જેનો ઉદ્દેશ્ય સભ્યોને ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરિત કરવાનો છે.
આ પણ વાંચો: વોટ આપો અને મેળવો સસ્તું પેટ્રોલ! : ગુજરાતના આ શહેરમાં મતદાન નિશાન બતાવવા પર મળે છે પેટ્રોલ પર બમ્પર છૂટ
2. વડોદરા: સહકારી મંડળી આપશે વ્યાજમાં રાહત અને વધુ વળતર
વડોદરામાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીએ આર્થિક રાહત આપીને મતદાન જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મંડળી દ્વારા લોનધારક સભાસદોને વ્યાજદરમાં ૧ ટકાની રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે આ માટે લોનધારક અને જામીન બંનેએ મતદાન કર્યું હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, મંડળીમાં ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવતા સભાસદો જો મતદાન કરશે, તો તેમને વ્યાજદરમાં ૦.૫૦ ટકા વધુ વળતર આપવાનું નક્કી કરાયું છે. છેલ્લા એક દાયકાથી કાર્યરત આ મંડળીની આ પહેલ નાગરિકોને આર્થિક ફાયદો કરાવી લોકશાહીમાં હિસ્સેદાર બનાવી રહી છે.
3. પોરબંદર: આંગળી પર શાહી બતાવો અને મેળવો સસ્તું પેટ્રોલ
બીજી તરફ, પોરબંદરના રાણાવાવમાં બિલેશ્વર મહાદેવ પેટ્રોલ પંપે સામાન્ય જનતા માટે આકર્ષક ઓફર મૂકી છે. ઇંધણના સતત વધતા ભાવ વચ્ચે રાહત આપતા સંચાલકોએ જાહેર કર્યું છે કે, જે મતદારો મતદાન કરીને આવશે અને આંગળી પર ઇંક બતાવશે, તેમને પેટ્રોલમાં પ્રતિ લિટર ૫ રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ નવતર પ્રયોગ દ્વારા સંચાલકોનો મુખ્ય હેતુ લોકો મતદાન કરવા માટે પ્રેરાય અને લોકશાહીના પાયા મજબૂત કરવામાં પોતાની નૈતિક જવાબદારી સમજે તેવો છે.





