ઓડિશામાં એક મોટો રેલવે અકસ્માત થયો છે. કટક જિલ્લામાં એસએમવીટી બેંગલુરુ-કામાખ્યા એસી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.
ઓડિશામાં ટ્રેન અકસ્માત પછી, લોકોની સૌથી મોટી ચિંતા ટ્રેનમાં મુસાફરી કરતા તેમના પરિવારોની છે. આવી સ્થિતિમાં રેલવે મંત્રાલયે અકસ્માતની માહિતી માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભુવનેશ્વર માટે હેલ્પલાઇન નંબર 8455885999 અને કટક માટે 8991124238 છે. અસરગ્રસ્ત મુસાફરોની માહિતી આ નંબર પર ફોન પર મેળવી શકાય છે.
આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે
કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનોનો માર્ગ બદલ્યો છે. મળતી માહિતી મુજબ, નીલાચલ એક્સપ્રેસ, ધૌલી એક્સપ્રેસ, પુરુલિયા એક્સપ્રેસનો માર્ગ બદલવામાં આવ્યો છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, કામાખ્યા એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જવાને કારણે રૂટ ખોરવાયો હતો, જેના કારણે આ ટ્રેનોને ડાયવર્ટ કરવી પડી હતી. અસરગ્રસ્ત મુસાફરો માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, એમ રેલવેએ જણાવ્યું હતું.
બચાવ કામગીરી ચાલુ
દુર્ઘટના સ્થળ પર યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. ઈસ્ટ કોસ્ટ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને સ્થળ પર રવાના કરવામાં આવી છે. પોલીસ પણ બચાવ કામગીરીમાં મદદ કરી રહી છે. એક રાહત ટ્રેન પણ સ્થળ પર મોકલવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન, ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.





