દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પક્ષના કાર્યકરોને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત અને સેવા કાર્યમાં જોડાવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને રાજ્ય સરકારના મંત્રીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરકારી તંત્ર તેમજ એનડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી કરી રહી છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે જિલ્લા પ્રમુખો સાથે પણ ચર્ચા કરવામાં આવી છે અને ભાજપના તમામ કાર્યકરોને "સેવા જ સંગઠન"ના મંત્ર સાથે પૂરગ્રસ્ત અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને શક્ય તમામ મદદ કરવા સૂચના આપવામાં આવી છે. તેમણે કહ્યું કે કુદરતી આફતના સમયમાં રાજકીય ભેદભાવ વિના પ્રજાની સાથે ઊભા રહેવું દરેક કાર્યકરની જવાબદારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આકાશી આફતનો ખતરો : આગામી 48 કલાક ભારે વરસાદ, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાહુલ ગાંધી પર યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે દેશના યુવાનોને વિવિધ મુદ્દાઓ પર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે પેપર લીક અને પરીક્ષાની પારદર્શિતા જેવા મુદ્દા ગંભીર રાષ્ટ્રીય ચિંતાના વિષય છે અને આવા મુદ્દાઓ પર સંસદમાં રચનાત્મક ચર્ચા થવી જોઈએ. તેમના મતે આ મુદ્દાને રાજકીય રંગ આપવાના બદલે તમામ પક્ષોએ મળીને વિદ્યાર્થીઓના હિતમાં ઉકેલ શોધવા પર ભાર મૂકવો જોઈએ.
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ : પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, વડોદરા સ્ટેશને મુસાફરો અટવાયા
નીટ પરીક્ષા મુદ્દે સરકારની કાર્યવાહીનો કર્યો ઉલ્લેખ
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પેપર લીક જેવી ઘટનાઓમાં સરકારની પ્રથમ જવાબદારી વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવી, દોષિતો સામે કડક કાર્યવાહી કરવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવું છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે મામલામાં તાત્કાલિક એફઆઈઆર નોંધાવી, તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપી અને વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરીને આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી.
તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અદાલતમાં ઝડપી સુનાવણી માટે પણ રજૂઆત કરવામાં આવી છે. વિશ્વકર્માના જણાવ્યા મુજબ લગભગ 20 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી અંદાજે 11 લાખ ઉમેદવારો સફળ થયા હતા અને સફળ ઉમેદવારોમાં મહિલાઓનો હિસ્સો 58 ટકા રહ્યો હતો. તેમણે ભવિષ્યમાં પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પદ્ધતિ તરફ આગળ વધવાની પણ વાત કરી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : શહેરના રસ્તા બન્યા નદી, રેડ એલર્ટ વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં
કોંગ્રેસની ભૂમિકાને લઈને ઉઠાવ્યા પ્રશ્નો
જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે વિદ્યાર્થીઓના મુદ્દે ભ્રમ ફેલાવી રહી છે અને રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસના શાસન દરમિયાન પણ વિવિધ રાજ્યોમાં પેપર લીકની ઘટનાઓ સામે આવી હતી. જોકે કોંગ્રેસ તરફથી આ આક્ષેપો અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ દરમિયાન તેમણે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં વહીવટી તંત્ર સાથે સંકલન કરીને લોકો સુધી મદદ પહોંચાડવા અપીલ કરી હતી.






