16 જુલાઈથી શરૂ થશે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા
ઓડિશાના પુરીમાં યોજાતી વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા 16 જુલાઈ 2026થી શરૂ થશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ ભગવાન બળભદ્ર અને બહેન દેવી સુભદ્રાના દર્શન કરવા અને રથયાત્રામાં ભાગ લેવા પુરી પહોંચે છે. હિન્દુ માન્યતા મુજબ રથયાત્રાના દર્શન અને તેમાં ભાગ લેવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.
15 જુલાઈએ થશે નવયૌવન દર્શન
રથયાત્રાની શરૂઆત પહેલાં 15 જુલાઈના રોજ નવયૌવન દર્શન (નબજૌબન દર્શન) યોજાશે. અનસરા (વિશ્વામ) સમય પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રા પ્રથમ વખત ભક્તોને દર્શન આપે છે.
16 જુલાઈએ નીકળશે ભવ્ય રથયાત્રા
16 જુલાઈના રોજ અષાઢ શુક્લ દ્વિતીયા તિથિએ મુખ્ય રથયાત્રા યોજાશે. આ દિવસે ત્રણેય દેવતાઓના ભવ્ય રથોને જગન્નાથ મંદિરથી ગુંડીચા મંદિર સુધી ખેંચવામાં આવે છે. ગુંડીચા મંદિરને ભગવાનના માસીના ઘર તરીકે માનવામાં આવે છે.
20 જુલાઈએ હેરા પંચમીનો ઉત્સવ
20 જુલાઈના રોજ હેરા પંચમી ઉજવાશે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે માતા લક્ષ્મી ગુંડીચા મંદિરે ભગવાન જગન્નાથને મળવા જાય છે. આ રથયાત્રાની સૌથી લોકપ્રિય વિધિઓમાંથી એક છે.
23 જુલાઈએ મળશે સાંધ્ય દર્શન
23 જુલાઈના રોજ ભક્તોને ગુંડીચા મંદિરમાં ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાના વિશેષ સાંધ્ય દર્શન કરવાનો અવસર મળશે.
24 જુલાઈએ બહૂડા યાત્રા યોજાશે
24 જુલાઈના રોજ બહૂડા યાત્રા યોજાશે. આ દિવસે ત્રણેય દેવતાઓ પોતાના મૂળ નિવાસસ્થાન જગન્નાથ મંદિર તરફ પરત ફરે છે. હજારો ભક્તો ફરી એકવાર રથોને ખેંચવામાં ભાગ લે છે.
25 જુલાઈએ થશે સુનાબેશ
25 જુલાઈના રોજ સુનાબેશ વિધિ યોજાશે. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાને સોનાના કિંમતી આભૂષણોથી શણગારવામાં આવે છે. આ રથયાત્રાની સૌથી આકર્ષક અને ભવ્ય વિધિઓમાંની એક છે.
26 જુલાઈએ અધર પાના વિધિ
26 જુલાઈના રોજ અધર પાના વિધિ યોજાશે. આ દરમિયાન રથ પર બિરાજમાન દેવતાઓને વિશેષ પવિત્ર મીઠું પીણું અર્પણ કરવામાં આવે છે. આ વિધિનું ધાર્મિક મહત્વ ખૂબ વિશેષ માનવામાં આવે છે.
27 જુલાઈએ નીલાદ્રી બિજે સાથે થશે સમાપન
27 જુલાઈના રોજ નીલાદ્રી બિજે સાથે રથયાત્રાનું સમાપન થશે. આ દિવસે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાને ફરીથી જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં રત્ન સિંહાસન પર વિરાજમાન કરવામાં આવે છે. તેની સાથે વાર્ષિક રથયાત્રાનો સત્તાવાર અંત આવે છે.





