LPG Crisis in India: ભારતમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલી એલપીજી (LPG) ની અછત વચ્ચે દેશ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત માટે એલપીજીનો મોટો જથ્થો લઈને ‘જગ વિક્રમ’ (‘Jag Vikram’) નામનું જહાજ ભારત આવી પહોંચ્યું છે.
14 એપ્રિલે કંડલા પોર્ટ પર પહોંચશે જહાજ
ભારતીય ધ્વજ ધરાવતું આ જહાજ 20,400 ટન એલપીજી લઈને 14 એપ્રિલ 2026ના રોજ ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચશે. આ જથ્થામાંથી અંદાજે 14.57 લાખ ઘરેલુ સિલિન્ડર ભરી શકાશે, જેનાથી દેશની ઊર્જા પુરવઠાની ચિંતામાં મોટો ઘટાડો થશે.
આ પણ વાંચો: ખેડૂતો માટે ચિંતાજનક સંકેત : ચોમાસા પર મોટો ખતરો: આ કારણે વરસાદ ઓછો પડશે, જાણો હવામાનની સૌથી ખતરનાક આગાહી
હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયું 'જગ વિક્રમ'
અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના કામચલાઉ યુદ્ધવિરામ બાદ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થનારું આ પ્રથમ ભારતીય જહાજ છે. પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મુકેશ મંગલે જણાવ્યું હતું કે, આ જહાજ 11 એપ્રિલે હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે. આ જહાજ પર 24 નાવિક સવાર છે.
ભારતીય ઊર્જા જરૂરિયાતો માટે મહત્વનો માર્ગ
ભારત તેની ઊર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે. જેમાં ક્રૂડ ઓઈલ 88 ટકા, નેચરલ ગેસ 50 ટકા અને એલપીજી 60 ટકાનો સમાવેશ થાય છે. આ તમામ સપ્લાયનો મોટો ભાગ ગલ્ફ દેશોમાંથી આવે છે અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં ફારસની ખાડીમાંથી પસાર થનારું આ નવમું ભારતીય જહાજ છે. અગાઉ ભારતીય નૌકાદળની મદદથી અનેક જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
રાહતની સ્થિતિ
સરકાર તરફથી વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશમાં એલપીજીની કોઈ અછત નથી અને પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જોકે, બજારોમાં દેખાતી લાંબી લાઈનો વચ્ચે ‘જગ વિક્રમ’નું આગમન ઘરેલુ બજારમાં એલપીજીની ઉપલબ્ધતાને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને મોટી રાહત આપશે. મુકેશ મંગલે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં દેશના તમામ બંદરો પર કામકાજ સંપૂર્ણપણે સામાન્ય છે.





