ઈઝરાયેલે ફરીવાર શુક્રવારે (28 માર્ચ, 2025) બેરૂતના દક્ષિણ ઉપનગરો પર હવાઈ હુમલો કર્યો. ગત વર્ષે નવેમ્બરમાં ઇઝરાયેલ-હેઝબુલ્લાહ યુદ્ધવિરામ પછી લેબનોનની રાજધાની પર ઇઝરાયેલનો આ પ્રથમ હુમલો હતો. આ હુમલામાં ઇઝરાયેલે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહના ગઢ દહિયેહમાં એક ડ્રોન સંગ્રહ કેન્દ્રને નિશાન બનાવ્યું હતું.
બેરૂતમાં મોટો વિસ્ફોટ થયો હતો અને આ વિસ્તારમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આ વિસ્તાર બે શાળાઓની નજીક રહેણાંક અને વ્યાપારી કેન્દ્ર છે. ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ રહેણાક વિસ્તારોનો ઉપયોગ કવર તરીકે કરે છે, તેથી રહેવાસીઓને હુમલો કરતા પહેલા વિસ્તાર છોડવાની ચેતવણી આપવામાં આવી હતી.
ઇઝરાયેલ-હેઝબુલ્લાહ વચ્ચે વધી રહેલી હિંસા વચ્ચે લેબનોન તરફથી ઉત્તર ઇઝરાયેલ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી, ઇઝરાયેલે બેરૂતના ઉપનગરોના ભાગોને ખાલી કરવાની ચેતવણી આપી હતી. જોકે હિઝબુલ્લાએ આ વાત સ્વિકારી નથી. અને ઇઝરાયેલ પર ખોટા બહાના હેઠળ હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. "જો ઇઝરાયેલી નાગરિકોને શાંતિ નહીં મળે, તો બેરૂતમાં શાંતિ નહીં રહે". ઇઝરાયેલે એ પણ સ્પષ્ટ કર્યું કે તે ઉત્તરીય વિસ્તારોમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબી કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.
હુમલાને પગલે નાગરિકોમાં ગભરાટ ફેલાયો હોવાથી લેબનોનની સરકારે તમામ શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. લોકો પગપાળા અને વાહનોમાં ભાગતા જોવા મળ્યા. પેરિસના એક નિવેદનમાં, રાષ્ટ્રપતિ જોસેફ ઔને આ હુમલાને "ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના ઉલ્લંઘન" તરીકે વખોડી કાઢ્યો હતો.
લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને મહિલાઓ અને બાળકો સહિત 18 અન્ય ઘાયલ થયા હતા. સંયુક્ત રાષ્ટ્રના વિશેષ સંયોજક જીનીન હેનિસ-પ્લાસ્ચેર્ટે કહ્યું, "આ ક્ષેત્ર એક નિર્ણાયક તબક્કે છે અને તાત્કાલિક રાજદ્વારી ઉકેલની જરૂર છે".





