ઇઝરાયેલે રમઝાન અને પાસઓવર દરમિયાન ગાઝામાં અસસ્થાયી યુદ્ધવિરામ માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. રવિવાર (2 માર્ચ) ની સવારે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ વાતની પૂષ્ટિ કરવામાં આવી હતી. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્ટીવ વિટકોફની દરખાસ્ત હેઠળ, વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની કચેરીએ જાહેરાત કરી હતી કે ગાઝામાં રાખવામાં આવેલા અડધા બંધકો, જીવંત અને મૃત બંનેને અસસ્થાયી યુદ્ધવિરામના પ્રથમ દિવસે મુક્ત કરવામાં આવશે. બાકીના બંધકોને કાયમી યુદ્ધવિરામ સમજૂતી પછી મુક્ત કરવામાં આવશે. ઇઝરાયેલી સરકારે સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય વાટાઘાટોને આગળ વધારવાના હેતુથી લેવામાં આવ્યો હતો.
હમાસે આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
શનિવાર (1 માર્ચ)ના રોજ હમાસના પ્રવક્તા હેઝેમ કાસીમે ગાઝામાં યુદ્ધવિરામના પ્રથમ તબક્કાને લંબાવવાની ઇઝરાયેલી દરખાસ્તને નકારી કાઢી હતી, જોકે તેમણે સ્ટીવ વિટકોફની યોજના પર સીધું નિવેદન આપ્યું ન હતું. તેમણે કહ્યું કે ઇઝરાયેલ બંધકોની સંપૂર્ણ મુક્તિના બદલામાં ગાઝાથી સંપૂર્ણ પીછેહઠ માટે પ્રતિબદ્ધ નથી.
ઈઝરાયેલ વાટાઘાટો માટે તૈયાર
વડા પ્રધાન નેતન્યાહૂની કચેરીએ જણાવ્યું હતું કે જો હમાસ સંમત થાય તો ઇઝરાયેલ તાત્કાલિક યુદ્ધવિરામની વાટાઘાટો શરૂ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો 42 દિવસની અંદર વાટાઘાટો સફળ નહીં થાય તો ઇઝરાયેલ સૈન્ય કાર્યવાહી ફરી શરૂ કરી શકે છે. બંને પક્ષોએ એક બીજા પર સમજૂતીનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
જાન્યુઆરીની યુદ્ધવિરામ સમજૂતીએ લગભગ 2,000 પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિના બદલામાં 33 ઇઝરાયેલી અને પાંચ થાઈ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરી હતી, જેનાથી 15 મહિનાનો સંઘર્ષ અટકી ગયો હતો. જો કે, કૈરોમાં તાજેતરની વાટાઘાટો છતાં, અત્યાર સુધી કોઈ કાયમી સમજૂતી થઈ નથી.





