અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધની આગ વિશ્વભરમાં ફેલાઇ ચૂકી છે. ખાસ કરીને હોર્મુઝ પર ઈરાને નાકાબંધી કરી તેના કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. અત્યારે અનેક દેશો એવા છે, જ્યા તેલ અને ગેસની અછત સર્જાઈ રહી છે. ભારતમાં પણ આવી સ્થિતિ તેવું લાગી રહ્યું છે. કારણ કે, ગત અઠવાડિયે ભારતમાં પણ પેટ્રોલ, ડિઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને વાહન વ્યવ્હાર ઓછો કરવા અને સોનુ ન ખરીદવા અપીલ કરી છે. ત્યારે નાણા મંત્રાલય તરફથી સરકારી બેંકો, વિમા કંપની અને અન્ય નાણાકીય સંસ્થાઓને ખર્ચ ઓછો કરવાના ઉપાયો લાગુ કરવા માટે આદેશ આપ્યો છે.
વિદેશ યાત્રા ટાળવા અને ઇવીનો ઉપયોગ કરવા આદેશ
નાણા મંત્રાલય તરફથી SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા), BoB (બેંક ઓફ બરોડા) વિમા કંપનીઓ અને સરકારી અધિકારીઓને વિદેશ યાત્રા ઓછી કરવા, મિંટિંગ વીડિયો કોન્ફરન્સથી કરવા અને ઇલેક્ટિક વાહનોનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
કર્મચારીઓ સાથે મિટિંગ વીડિયો કોન્ફરન્સથી કરવા અપીલ
નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશોમાં સંબંધિત અધિકારીઓને ઓફિસને કામને લઇને કર્મચારીઓ સાથેની મિંટિંગ વીડિયો કોન્ફરન્સથી કરવાનો આગ્રહ રાખવા અને ઉપરી અધિકારીઓ સાથેની વિદેષ યાત્રા શક્ય હોય એટલી ઓછી કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇલેક્ટિક વાહનોને પ્રોત્સાહન આપવા સાથે અને ઇંધણ બચાવવા માટે ઇવી વાહનોનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.
પી.એમ. મોદીએ પણ અપીલ કરી હતી
ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા, સોનાની ખરીદી ઘટાડવા અને શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી હતી.
સરકારી ઓઈલ કંપનીઓને ભારે નુકસાન
પીએમની આ અપીલના બીજા જ દિવસે કેન્દ્ર સરકારે પશ્ચિમ એશિયાની સ્થિતિ અંગે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ સરકારે સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે રાંધણ ગેસની કોઈ જ અછત નથી, લોકોએ ડરવાની કે પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરૂર નથી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા હોવાથી દેશની સરકારી ઓઈલ કંપનીઓને દરરોજ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.






