IPL 2026: IPL 2026ની સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યા છતાં ટીમ તેનો બચાવ કરી શકી ન હતી અને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ પંતની કેપ્ટન્સી અને બેટિંગ બંને પર સવાલો ઉઠી રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનું માનવું છે કે, કેપ્ટન્સીના બોજ હેઠળ પંત પોતાની નેચરલ ગેમ રમી શકતો નથી, તેથી તેને આ જવાબદારીમાંથી મુક્ત કરવો જોઈએ. લખનૌ સુપર જાયન્ટ્સ હાલ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાને છે અને સતત છ હારના કારણે ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગઈ છે. પંતે અત્યાર સુધી 9 મેચમાં માત્ર 204 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 128.30 જેટલો ઓછો રહ્યો છે, જે તેની ક્ષમતા મુજબ ઘણો નબળો કહી શકાય.
દિગ્ગજોનો પંત પર આકરો પ્રહાર: 'કેપ્ટન્સીમાંથી કરો રજા'
ક્રિકબઝ સાથેની વાતચીતમાં મનોજ તિવારી અને રોહન ગાવસ્કરે પંતને કેપ્ટન્સીમાંથી હટાવવાની સ્પષ્ટ માંગણી કરી છે. રોહન ગાવસ્કરે જણાવ્યું હતું કે, “સંજીવ ગોયન્કા પંત સાથે લાંબી ઇનિંગ રમવા માંગે છે, પરંતુ કેટલીકવાર ખેલાડીને દબાણમાંથી બહાર કાઢવા જરૂરી હોય છે. તેને માત્ર બેટિંગ પર ફોકસ કરવા દેવો જોઈએ જેથી તે ફરીથી વિસ્ફોટક રન બનાવી શકે.” જ્યારે મનોજ તિવારીએ ઉમેર્યું કે, કેપ્ટન્સીના ભારને કારણે આપણે પંત જેવા બેટ્સમેનને ગુમાવી રહ્યા છીએ.
'જય શ્રી રામ...': IPLની પ્રથમ વિકેટ ઝડપ્યા બાદ આ ખેલાડીએ ખિસ્સામાંથી કાઢી એવી ચિઠ્ઠી કે આખી દુનિયા જોતી રહી ગઈ
શોન પોલોકે પંતને કહ્યો 'લક્ષ્યહીન' કેપ્ટન
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન શોન પોલોકે પણ પંતની રણનીતિની આકરી ટીકા કરી છે. તેમણે પંતની કેપ્ટન્સીને 'એમલેસ' (લક્ષ્યહીન) ગણાવી હતી. પોલોકે પ્રશ્ન કર્યો હતો કે જ્યારે મુંબઈના બેટ્સમેનો ધોલાઈ કરી રહ્યા હતા ત્યારે પંત પાસે કોઈ ચોક્કસ પ્લાન હોય તેવું જણાતું ન હતું. પાંચ બોલરોનો જ ઉપયોગ કરવો અને એડન માર્કરામ જેવા વિકલ્પને અવગણવા જેવી ભૂલો પંતને ભારે પડી છે.
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સ માટે વધુ એક માઠા સમાચાર: LSG સામેની મેચ પહેલા લાગ્યો મોટો ઝટકો!
એડન માર્કરામ બની શકે છે નવો કેપ્ટન?
દિગ્ગજો હવે પંતના સ્થાને એડન માર્કરામને કેપ્ટન બનાવવાની સલાહ આપી રહ્યા છે. વોશિમ જાફરે અગાઉ સૂચન કર્યું હતું કે માર્કરામ વધુ શાંત અને રણનીતિક રીતે મજબૂત કેપ્ટન છે. માર્કરામે અગાઉ SA20 માં સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું હોવાથી તે LSG માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સંજીવ ગોયન્કા અને લખનૌ સુપર જાયન્ટ્સ મેનેજમેન્ટ આગામી મેચો અથવા આગામી સિઝન માટે પંત અંગે શું નિર્ણય લે છે. જો પંત પોતાની જૂની લય પાછી નહીં મેળવી શકે, તો ચોક્કસપણે ટીમના નેતૃત્વમાં ફેરફાર જોવા મળી શકે છે.





