IPL 2026: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલી મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026માં અત્યાર સુધી 9 મેચ રમી છે, જેમાંથી ટીમને માત્ર 2 મેચમાં જીત મળી છે, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામેની મહત્વની મેચ પહેલા મુંબઈ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.
IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. ટીમના મોટાભાગના ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. ટીમની પ્લે-ઓફની સફર લગભગ ખતમ થવાને આરે છે. 4 મેના રોજ મુંબઈ સીઝનની તેની 10મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમવા મેદાનમાં ઉતરશે, પરંતુ તે પહેલા ટીમને મોટો ફટકો પડ્યો છે.
રોહિત શર્માને લઈને આવ્યું મોટું અપડેટ
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થશે કે નહીં, તેના પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. 'ક્રિકબઝ'ના અહેવાલ મુજબ, રોહિત શર્માની ઉપલબ્ધતા હજુ અનિશ્ચિત છે. મેનેજમેન્ટે લખનૌ સામે રમવાનો નિર્ણય સંપૂર્ણપણે 'હિટમેન' પર છોડી દીધો છે.
પ્લેઈંગ 11 પર સસ્પેન્સ કેમ?
રોહિત શર્મા 12 એપ્રિલથી મુંબઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ બન્યા નથી. RCB સામેની મેચ દરમિયાન રોહિત શર્માને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી, જેના કારણે તેઓ 'રિટાયર્ડ હર્ટ' થયા હતા. તેમની ઈજા ગંભીર હોવાથી તેઓ તે મેચમાં ફરી બેટિંગ કરવા આવી શક્યા નહોતા.
રોહિતે નેટ્સમાં કરી બેટિંગ
લખનૌ સામેની મેચ પહેલા રવિવારે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ મુસાફરી કરવાની હતી, ત્યારે રોહિત શર્મા મુખ્ય કોચ મહેલા જયવર્ધને સાથે મેદાન પર જોવા મળ્યા હતા. તેમણે ત્યાં લાંબા સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી, જે ચાહકો માટે આશાનું કિરણ છે.
5 મેચમાં ગેરહાજર રહ્યા રોહિત
ઈજાના કારણે રોહિત શર્મા આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 5 મેચ રમી શક્યા નથી. તેમની ગેરહાજરીમાં ટીમને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રોહિત શાનદાર ફોર્મમાં હતા અને તેમણે રમેલી 4 મેચોમાં વિસ્ફોટક પ્રદર્શન કર્યું હતું.
હિટમેનનું અત્યાર સુધીનું પ્રદર્શન
KKR સામે 78 રનની શાનદાર ઈનિંગ, દિલ્હી સામે 35 રન, રાજસ્થાન રોયલ્સ સામે 5 રન અને RCB સામે 19 રન (અણનમ) બનાવ્યા છે.





