Mexico Train Accident: મેક્સિકોના દક્ષિણી રાજ્ય ઓઆક્સાકામાં મેક્સિકન નેવીના સંચાલન હેઠળ ચાલતી ઇન્ટરઓશનિક પેસેન્જર ટ્રેન એક વળાંક પર પાટા પરથી ઉતરી જતા ગંભીર દૂર્ઘટના સર્જાઈ હતી, જેમાં 13 લોકોનાં મોત થયાં છે અને 98 લોકો ઘાયલ થયાં હોવાની માહિતી સામે આવી છે,આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની ટ્રેનમાં 250 મુસાફરો સવાર હતા અને આ દુર્ઘટનાએ દેશના વ્યૂહાત્મક વેપાર કોરિડોરને મોટો ઝટકો આપ્યો છે. રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે તાત્કાલિક વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલીને બચાવ અને મદદના આદેશ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર, દુર્ઘટના નિઝાન્ડા નજીક આસુન્સિયોન ઇક્સ્ટાલ્ટેપેક વિસ્તારમાં એક તીવ્ર વળાંક પર થઈ હતી. ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું અને અનેક ડબ્બા પલટી ગયા. મેક્સિકન નેવી અનુસાર, ટ્રેનમાં 241 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 250 લોકો સવાર હતા. તેમાંથી 139 લોકો સુરક્ષિત છે, 98 ઘાયલ છે અને 36ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટનાથી રેલ લાઇન પરની ટ્રાફિક અટકી પડી છે અને બચાવ કાર્યમાં આર્મી, નેવી અને સિવિલ પ્રોટેક્શનની ટીમો જોડાઈ છે.
રાષ્ટ્રપતિ અને અધિકારીઓનું નિવેદન
રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે આ દુર્ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે અને 98 ઘાયલ છે, જેમાં 5ની હાલત ગંભીર છે. તેમણે નેવી સેક્રેટરી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે મોકલીને મૃતકોના પરિવારોને વ્યક્તિગત મદદ કરવાના આદેશ આપ્યા છે.ઓઆક્સાકા રાજ્યના ગવર્નર સલોમોન જારા ક્રુઝે પણ શોક વ્યક્ત કર્યો અને સરકારી એજન્સીઓની ત્વરિત કાર્યવાહીની માહિતી આપી. એટર્ની જનરલ અર્નેસ્ટિના ગોડોય રામોસે જણાવ્યું કે ઘટનાના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઇન્ટરઓશનિક ટ્રેન અને કોરિડોર પ્રોજેક્ટ
આ ટ્રેન સેવા 2023માં તત્કાલીન રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર દ્વારા શરૂ કરવામાં આવી હતી. તે તેહુઆન્ટેપેક ઇસ્થમસને પાર કરીને પ્રશાંત મહાસાગરના સાલિના ક્રુઝ બંદરને ખાડી તટના કોઆત્ઝાકોઆલ્કોસ સાથે જોડે છે, જે લગભગ 290 કિલોમીટરનું અંતર છે.સરકારની મહત્વાકાંક્ષી યોજના આ ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય વેપાર માટે વ્યૂહાત્મક કોરિડોર બનાવવાની છે, જે પનામા કેનાલનો વિકલ્પ બની શકે અને દક્ષિણ મેક્સિકોમાં આર્થિક વિકાસને વેગ આપે.
બચાવ કાર્ય અને તપાસ
ઘટનાસ્થળે નેવી, આર્મી અને અન્ય એજન્સીઓએ ત્વરિત બચાવ કાર્ય શરૂ કર્યું છે. આ દુર્ઘટના આ મહિને આ રેલલાઇન પરની બીજી મોટી ઘટના છે, જોકે અગાઉનીમાં કોઈ મોત થયું નહોતું. તપાસમાં તકનીકી અને ઓપરેશનલ કારણોની ઊંડી તપાસ કરવામાં આવશે.





















