અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ધમકી આપી હતી કે જો હમાસ 20 જાન્યુઆરી પહેલા યુદ્ધવિરામ પર નહીં પહોંચે તો તેને ભારે પરિણામ ભોગવવા પડશે.
ઈઝરાયેલ-હમાસ વચ્ચે આખરે સીઝફાયર
વર્ષ 2025ના સૌથી મોટા સમાચાર, જે મિડલ ઈસ્ટ દેશોને રાહત આપનારા છે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ મૂકવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી, 2025ના રોજ, કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીએ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી. આ જાહેરાત સાથે જ છેલ્લા 467 દિવસથી ચાલી રહેલ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બંધ થઈ ગયું છે. જોકે, યુદ્ધવિરામ 19 જાન્યુઆરી, 2025થી અમલમાં આવશે. કતારની રાજધાની દોહામાં આ યુદ્ધવિરામ ડીલને લઈને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે અનેક રાઉન્ડની વાતચીત થઈ હતી. અમેરિકાએ આ વાતચીતમાં મધ્યસ્થી કરી છે
ટ્રમ્પની ધમકી બાદ હમાસ માન્યું?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ રીતે હતું કે જો હમાસ 20 જાન્યુઆરી પહેલા કરાર પર નહીં પહોંચે તો તેને ભારે પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પની ધમકી પછી, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હમાસ ઈઝરાયલના બંધકોને છોડશે અને ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલ પોતાના સૈનિકોને પાછા ખેંચશે. મહત્વનું છે કે બાઈડન સરકાર કતાર, ઇજિપ્ત અને ઇઝરાયેલ સાથે સતત સંપર્કમાં રહી હતી.
કતારની સૌથી નિર્ણાયક ભૂમિકા
કતારના વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કતાર, અમેરિકા અને ઈજિપ્તની મધ્યસ્થીથી યુદ્ધવિરામનો કરાર થયો છે. આ ડીલ સાથે યુદ્ધનો કાળો અધ્યાય સમાપ્ત થશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને પક્ષ યુદ્ધવિરામની આ ડીલને અનુસરવામાં આવશે અને તેને સન્માનિત કરવામાં આવશે. કતારના PM શેખ મોહમ્મદ અલ થાનીએ કહ્યું કે અમેયુદ્ધવિરામને લાગુ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. ઈજિપ્તના રાષ્ટ્રપતિએ પણ આ સમજૂતીને આવકારી છે.
ભારતે યુદ્ધવિરામની જાહેરાત આવકારી
ભારતના વિદેશ મંત્રાલયે પણ એક પ્રેસ રિલીઝ જારી કરીને યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું હતું. ભારતે તેના નિવેદનમાં કહ્યું કે અમને આશા છે કે આનાથી ગાઝાના લોકોને માનવતાવાદી સહાયનો સુરક્ષિત અને સતત પુરવઠો સુનિશ્ચિત થશે. ભારતે કહ્યું કે અમે તમામ બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની સતત અપીલ કરી છે. જો કે આ મામલે ઈઝરાયેલના વડાપ્રધાન કાર્યાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
7 ઓકટોબર 2023એ હમાસે કર્યો હતો હુમલો
ઑક્ટોબર 7, 2023 ના રોજ, હમાસે દક્ષિણ ઇઝરાયેલના ઘણા કિબુત્ઝ અને મોટા શહેરો પર હુમલો કર્યો. આ હુમલામાં 1,200 થી વધુ ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા. આ આતંકવાદી હુમલો ઇઝરાયલ માટે મોટા ફટકા સમાન હતો, હમાસે લગભગ 250 ઇઝરાયેલ અને અન્ય દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા, જેમને તેમની સાથે ગાઝા પટ્ટીમાં લઇ જવામાં આવ્યા હતા. ઈઝરાયેલે 7 ઓક્ટોબર, 2023ના હુમલા બાદ હમાસ સામે યુદ્ધની જાહેરાત કરી હતી. આ યુદ્ધમાં પેલેસ્ટાઈનના 49હજારથી વધુ લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા.





