Home International India Top Travel Destinations 2025 Mahakumbh Kashmir Goa Tourism Trends

પ્રવાસન ક્ષેત્રે સર્જાયા નવા રેકોર્ડ્સ : 2025માં ભારતીયોએ આ સ્થળોની સૌથી વધુ મુલાકાત લીધી

પ્રવાસન ક્ષેત્રે સર્જાયા નવા રેકોર્ડ્સ
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 04:00 PM IST

વર્ષ 2025 હવે પૂર્ણતાના આરે છે ત્યારે ભારત વિશ્વના સૌથી ગતિશીલ પર્યટન સ્થળ તરીકે ફરી એકવાર ઉભરી આવ્યું છે. આ વર્ષે દેશમાં કનેક્ટિવિટીમાં થયેલો સુધારો અને ડિજિટલ માધ્યમોથી મળેલી પ્રેરણાને કારણે ભારતીય પ્રવાસીઓએ પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. સાંસ્કૃતિક આયોજનો અને આધ્યાત્મિક ઉત્સવોએ પણ પ્રવાસીઓને દેશના ખૂણેખૂણે ભ્રમણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

પ્રયાગરાજ મહાકુંભ મેળો: શ્રદ્ધાનું સૌથી મોટું કેન્દ્ર

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત ભવ્ય મહાકુંભ મેળો વર્ષ 2025 માં ભારતનું સૌથી વધુ સર્ચ કરાયેલું પ્રવાસન સ્થળ રહ્યું હતું. અંદાજે 144 વર્ષ બાદ યોજાયેલા આ વિશિષ્ટ ધાર્મિક સંભારણાએ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષ્યા હતા. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ફોટોગ્રાફર્સ અને આધ્યાત્મિક સાધકો આ આસ્થાના મહાસાગરનો ભાગ બન્યા હતા.

કાશ્મીર અને લદ્દાખ: કુદરતી સૌંદર્ય અને સાહસની સફર

વર્ષ 2025 માં પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર પ્રવાસીઓની પ્રથમ પસંદગી રહ્યું હતું. બરફથી ઢંકાયેલી ચોટીઓ અને ડલ સરોવરમાં શિકારાની સફરનો આનંદ માણવા લોકોએ તમામ ઋતુઓમાં અહીંની મુલાકાત લીધી હતી. ખાસ કરીને ગુલમર્ગ વિન્ટર સ્પોર્ટ્સ માટે જાણીતું બન્યું હતું. બીજી તરફ સાહસના શોખીનો માટે લદ્દાખ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન સાબિત થયું હતું. લેહ-મનાલી હાઈવે પર બાઈક રાઈડિંગ અને પેંગોંગ સરોવરની મુલાકાતે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

ગોવા, પોન્ડિચેરી અને ઉદયપુર: સંસ્કૃતિ અને આરામનો સંગમ

ગોવાની લોકપ્રિયતામાં આ વર્ષે પણ કોઈ ઘટાડો થયો નથી. અહીંના બીચ ઉપરાંત પોર્ટુગીઝ વિરાસત અને સ્થાનિક તહેવારોએ દરેક ઉંમરના લોકોને આકર્ષ્યા હતા. શાંતિની શોધમાં રહેતા પ્રવાસીઓ માટે પોન્ડિચેરી શ્રેષ્ઠ સાબિત થયું હતું, જ્યાં ફ્રેન્ચ આર્કિટેક્ચર અને દરિયા કિનારો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. રાજસ્થાનનું ઉદયપુર શહેર તેના શાહી અંદાજ અને પિછોલા ઝીલમાં બોટ રાઈડ માટે પ્રવાસીઓની યાદીમાં ટોચ પર રહ્યું હતું.

વારાણસી: આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક

વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાંનું એક વારાણસી તેની સંસ્કૃતિ અને રીતિ-રિવાજોને કારણે સતત ચર્ચામાં રહ્યું છે. વર્ષ 2025 માં પણ ગંગા કિનારે આરતી અને નૌકા વિહારનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પરંપરા અને આધુનિકતાના સંગમ સમાન આ શહેરે પ્રવાસન નકશા પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now