ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોએ મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કરારો કર્યા છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન વેપાર, સંરક્ષણ, સમુદ્રી સુરક્ષા, કૃષિ, શિક્ષણ, આતંકવાદ વિરોધી સહયોગ અને સ્વચ્છ ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રોમાં કુલ 10 સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાથે જ બંને દેશોએ ભવિષ્યના સહયોગને નવી દિશા આપતા 8 મહત્વપૂર્ણ નિર્ણયો પણ જાહેર કર્યા હતા. આ મુલાકાતને બંને દેશો વચ્ચેના સંબંધો માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે. લાંબા સમય બાદ ભારતીય વડાપ્રધાનની ન્યૂઝીલેન્ડ મુલાકાત દરમિયાન બંને દેશોએ પરસ્પર વેપાર અને રોકાણ વધારવાની સાથે વ્યૂહાત્મક ભાગીદારીને પણ વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: શેખર સુમનના બિઝનેસ પાર્ટનર પર EDના દરોડા : વિદેશી સંપત્તિ અને ઓફશોર ખાતાઓની તપાસ તેજ
2030 સુધી વેપાર વધારવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય
ભારત અને ન્યૂઝીલેન્ડે વર્ષ 2030 સુધી દ્વિપક્ષીય વેપારને નોંધપાત્ર રીતે વધારવાનો લક્ષ્ય નક્કી કર્યો છે. બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર (Free Trade Agreement - FTA) અંગેની ચર્ચાને પણ આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કરાર અમલમાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે આયાત-નિકાસ વધુ સરળ બનવાની અપેક્ષા છે. FTA અંતર્ગત ન્યૂઝીલેન્ડમાંથી ભારતમાં આયાત થતા અનેક ઉત્પાદનો પર શુલ્કમાં રાહત મળવાની શક્યતા છે, જેના કારણે ઘણા ઉત્પાદનો ભારતીય બજારમાં વધુ સ્પર્ધાત્મક કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. બીજી તરફ ભારતીય ઉત્પાદનો માટે પણ ન્યૂઝીલેન્ડના બજારમાં નવી તકો ઊભી થવાની સંભાવના છે.
સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષામાં ઐતિહાસિક સહયોગ
આ બેઠકનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ સંરક્ષણ અને સમુદ્રી સુરક્ષા ક્ષેત્રે થયેલો કરાર માનવામાં આવે છે. બંને દેશોની સેનાઓ હવે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વધુ નજીકથી સહકાર આપશે. સમુદ્રી સુરક્ષા, હાઇડ્રોગ્રાફિક ડેટાની આપ-લે, સંયુક્ત સૈન્ય અભ્યાસ અને જરૂરી સમયે લોજિસ્ટિક સપોર્ટ જેવી બાબતોમાં પરસ્પર સહયોગ વધારવામાં આવશે. આ ઉપરાંત બંને દેશો દરિયામાં ગેરકાયદે માછીમારી, દરિયાઈ સુરક્ષા અને નૌકાદળ વચ્ચે માહિતીના ઝડપી આદાન-પ્રદાન માટે પણ સંકલિત રીતે કાર્ય કરશે.
આતંકવાદ સામે સંયુક્ત લડત
ભારત અને ન્યૂઝીલેન્ડે વૈશ્વિક આતંકવાદ સામે મળીને લડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. બંને દેશો આતંકવાદી સંગઠનો અને તેમની પ્રવૃત્તિઓ અંગે ગુપ્તચર માહિતી શેર કરશે તેમજ સંયુક્ત કાર્યસમૂહની રચના કરીને આતંકવાદ વિરોધી વ્યૂહરચના પર સાથે કામ કરશે. આ ઉપરાંત કુદરતી આફતો જેવી કે ભૂકંપ, સુનામી અને અન્ય આપત્તિઓ દરમિયાન પરસ્પર સહયોગ વધારવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે. બંને દેશો આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી અને ટેક્નોલોજી ક્ષેત્રે પોતાના અનુભવ એકબીજા સાથે વહેંચશે.
કૃષિ, ડેરી અને કિવી ઉત્પાદનને મળશે પ્રોત્સાહન
કૃષિ અને ડેરી ક્ષેત્રે પણ બંને દેશોએ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. આધુનિક ખેતી પદ્ધતિઓ, નવી ટેક્નોલોજી, સંશોધન અને ખેડૂતોને તાલીમ આપવા માટે સંયુક્ત કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ખાસ કરીને ભારતમાં કિવી ફળના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે 'કીવીફ્રૂટ એક્શન પ્લાન' શરૂ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે નાગાલેન્ડ અને ઉત્તરાખંડમાં બે સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવામાં આવશે, જ્યાં ખેડૂતોને આધુનિક ખેતી અને ઉત્પાદન અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે.
શિક્ષણ, રોજગાર અને પ્રવાસન ક્ષેત્રે નવી તકો
બંને દેશોએ શિક્ષણ ક્ષેત્રે પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી આદાન-પ્રદાન, સંયુક્ત સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડે દર વર્ષે 5,000 ભારતીય વ્યાવસાયિકોને વર્ક વિઝા આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી ભારતીય યુવાનો અને કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. પ્રવાસન ક્ષેત્રે પણ બંને દેશોએ નવા કરારો કરીને બંને દેશોના નાગરિકો વચ્ચે પ્રવાસને વધુ સરળ અને પ્રોત્સાહિત બનાવવાનો નિર્ણય કર્યો છે. રમતગમત ક્ષેત્રે ખેલાડીઓની તાલીમ, સ્પોર્ટ્સ સાયન્સ અને સ્પોર્ટ્સ મેડિસિનમાં સહયોગ વધારવા પર પણ સંમતિ થઈ છે.
ગુજરાતના લોથલ પ્રોજેક્ટમાં પણ સહયોગ
આ બેઠક દરમિયાન ગુજરાત માટે પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના લોથલ ખાતે વિકસાવવામાં આવી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસમાં ન્યૂઝીલેન્ડ સહયોગ આપશે. આ ઉપરાંત સમુદ્રી વારસા, સંસ્કૃતિ અને હેરિટેજ સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો સાથે મળીને કામ કરશે. સાથે જ કલા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પણ વધુ પ્રોત્સાહન આપવામાં આવશે.
આ પણ વાંચો: IRCTCમાં હવે ટિકિટ બુક કરવી બનશે વધુ સરળ : એકસાથે 4 મોટા ફેરફાર, મુસાફરોને મળશે મોટો ફાયદો





