બુધવારે મુંબઈના દરિયામાં નૌકાદળની સ્પીડ બોટ એક યાટ સાથે અથડાતાં મોટી દુર્ઘટના સર્જાઈ. જેમાં 13 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 101ને બચાવી લેવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન રાહત ફંડમાંથી વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં બોટ દુર્ઘટનામાં માર્યા ગયેલા દરેક વ્યક્તિના પરિવારજનોને PM રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
રાષ્ટ્રપતિ અને PM મોદીએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરેલી પોસ્ટમાં લખ્યું કે, મારી સંવેદના એ લોકોના પરિવારો સાથે છે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. હું બચાવ અને રાહત કામગીરીની ઝડપી સફળતા અને બચી ગયેલા લોકોની ઝડપથી પુનઃપ્રાપ્તિ માટે પ્રાર્થના કરું છું. તો PM કાર્યાલય વતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતી વખતે લખ્યું હતું કે મુંબઈમાં બોટ દુર્ઘટના દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત લોકોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
મૃતકોના પરિવારજનોને રૂ.5 લાખની સહાય
CM દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, પરિસ્થિતિની ગંભીરતાને જોતા નેવી, કોસ્ટ ગાર્ડ અને મુંબઈ પોલીસે તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું. આ બચાવ અભિયાનમાં 11 નેવી ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. મૃતકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી 5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઘટનાની તપાસ નેવી અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.





