દિલ્હી: શુક્રવારે દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર એક મોટો વિવાદ સામે આવ્યો હતો. જણાવી દઈએ કે, ઑફ-ડ્યુટી એર ઇન્ડિયા એક્સપ્રેસના પાયલોટે પરિવાર સાથે મુસાફરી કરી રહેલા એક મુસાફર પર હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જેમાં અંકિત દીવાન નામના મુસાફરનો દાવો છે કે, પાઈલટ કેપ્ટન વીરેન્દ્રએ તેની સાથે ખરાબ વર્તન જ નહીં, પરંતુ શારીરિક હુમલો પણ કર્યો હતો. પીડિત, Aniket Diwan સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની સાથે બનેલી ઘટનાની માહિતી શેર કરી હતી. પોતાની પોસ્ટમાં, તેણે પોતાના લોહીથી લથપથ ચહેરા અને ગુનેગાર પાઇલટનો ફોટો શેર કર્યો હતો.
બાળક માટે સ્ટાફ લાઈનનો ઉપયોગ કરતા વિવાદ થયો
મુસાફરે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, "મારા પરિવાર અને મને સ્ટાફ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરક્ષા તપાસ લાઇનમાં પ્રવેશવાનું કહેવામાં આવ્યું કારણ કે, અમારી સાથે સ્ટ્રોલરમાં 4 મહિનાનું બાળક હતું. સ્ટાફ મારી સામે લાઇન તોડી રહ્યો હતો. જ્યારે મેં વાંધો ઉઠાવ્યો, ત્યારે કેપ્ટન વીરેન્દ્ર ગુસ્સે થયા અને પૂછ્યું, 'શું તમે અભણ છો અને શું તમે તે સાઇન વાંચી શકતા નથી જે કહે છે કે, આ એન્ટ્રી સ્ટાફ માટે છે?'
ઝઘડો વધ્યો અને થયો શારીરિક હુમલો
આ દલીલ બાદ ઝઘડો થયો, અને પાઇલટે મારા પર હુમલો કર્યો, જેના કારણે મારું લોહી વહેવા લાગ્યં. પાઇલટના શર્ટ પરનું લોહી પણ મારું હતું. મારું વેકેશન બરબાદ થઈ ગયું છે. મારી 7 વર્ષની પુત્રીએ તેના પિતાને નિર્દયતાથી માર મારતા જોયા. તે હજુ પણ આઘાતમાં છે અને ગભરાયેલી છે.
એર ઇન્ડિયાએ શું કહ્યું...
ઘટના બાદ, એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના પાઇલટના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી અને એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. એરલાઇને જણાવ્યું કે, આરોપી કર્મચારીને તાત્કાલિક અસરથી તમામ સત્તાવાર જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
પાયલટને તાત્કાલિક ફરજમાંથી દૂર કર્યો
કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમને દિલ્હી એરપોર્ટ પર અમારા એક કર્મચારી સાથે સંકળાયેલી ઘટનાની જાણ થઈ છે. આ કર્મચારી બીજી એરલાઇનની ફ્લાઇટમાં મુસાફર તરીકે મુસાફરી કરી રહ્યો હતો અને બીજા મુસાફર સાથે ઝઘડો થયો હતો. અમે આવા વર્તનની સખત નિંદા કરીએ છીએ. સંબંધિત કર્મચારીને તાત્કાલિક અસરથી સત્તાવાર ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે, અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસના તારણો પર આધારિત યોગ્ય શિસ્તબદ્ધ પગલાં લેવામાં આવશે." એર ઇન્ડિયા એક્સપ્રેસ તેના કર્મચારીઓ પાસેથી ઉચ્ચ વર્તન અને વ્યાવસાયિક વર્તનની અપેક્ષા રાખે છે. કંપનીએ જણાવ્યું હતું કે, "અમે ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમે હંમેશા જવાબદારીપૂર્વક વર્તીએ."





















