Indian and New Zealand players arrive in Indore: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝ ચાલી રહી છે. ભારતે પહેલી મેચ જીતી હતી, જ્યારે ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં જોરદાર કમબેક કરીને સિરીઝમાં બરાબરી કરી લીધી હતી. ત્રીજી અને નિર્ણાયક વનડે રવિવારે ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે. આ મેચ માટે બંને ટીમો પહોંચી ગઈ છે. બંને ટીમોએ અંતિમ મેચ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. બીજી મેચમાં ભારતના બેટ્સમેનોનું પ્રદર્શન અપેક્ષા મુજબ નહોતું, અને અંતિમ મેચમાં બેટ્સમેન આમાં સુધારો કરવા માંગશે.
બીજી મેચ હારવાનું કારણ અને હોલકર સ્ટેડિયમની કંડીશન
ભારતે વડોદરામાં પહેલી વનડે 4 વિકેટથી જીતી હતી, જ્યારે રાજકોટમાં બીજી વનડેમાં ન્યૂઝીલેન્ડે 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. ડેરિલ મિશેલની સેન્ચુરી અને વિલ યંગ સાથેની તેની 162 રનની પાર્ટનરશીપએ ન્યૂઝીલેન્ડને ટાર્ગેટને ચેસ કરવામાં મદદ કરી, જેનાથી સિરીઝ નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ. ઇન્દોરનું હોલકર સ્ટેડિયમ બેટિંગ માટે અનુકૂળ સ્ટેડિયમ હોય છે, જ્યાં ટૂંકી બાઉન્ડ્રીઝ હોવાથી વધુ રન બની શકે છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો શુક્રવારે નેટ પ્રેક્ટિસ કરશે, જ્યાં ખેલાડીઓ પિચ અને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરશે.
બંને ટીમના સ્પિનરો વચ્ચેનો તફાવત
ન્યુઝીલેન્ડે બીજી વનડેમાં 285 રનના ટાર્ગેટને ચેસ કર્યો, જેમાં ડેરિલ મિશેલના નોટઆઉટ 131 રનની મદદથી સાત વિકેટથી વિજય મેળવ્યો અને ODI સિરીઝ 1-1 થી બરાબર કરી. ભારતીય સ્પિન બોલરો ફરી એકવાર ઘરઆંગણે પ્રભાવ પાડવા નિષ્ફળ ગયા. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા ખૂબ મોંઘા સાબિત થયા. ન્યુઝીલેન્ડ માટે ડેબ્યુ કરનાર લેફટી સ્પિનર જેડન લેનોક્સે ભારતીય બેટ્સમેનોને કાબૂમાં રાખ્યા, 10 ઓવરમાં 42 રન આપીને એક વિકેટ લીધી. તેનાથી વિપરીત, કુલદીપ યાદવ (10 ઓવર, 82 રન, એક વિકેટ) અને રવિન્દ્ર જાડેજા (8 ઓવરમાં 44 રન) એ 18 ઓવરમાં 126 રન આપી દીધા.





















