IND vs SA; Great record of Indian team in Ahmedabad: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની ચોથી મેચ બુધવારે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાનારી હતી. ભારે ધુમ્મસને કારણે આ મેચ રમાઈ શકી ન હતી. સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમનો અમદાવાદમાં શાનદાર T20 રેકોર્ડ છે. ભારતીય ટીમ આ મેદાન પર ફક્ત ઇંગ્લેન્ડ ટીમ સામે જ બે T20 મેચ હારી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, અંતિમ T20 મેચમાં જીત મેળવીને સીરિઝ જીતી લેશે.
અમદાવાદના સ્ટેડિયમમાં ભારતીય ટીમનો રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમે અમદાવાદમાં 7 T20I મેચ રમી છે. ભારતે આમાંથી 5 મેચ જીતી છે, જ્યારે બે મેચના રિઝલ્ટ ભારતના પક્ષમાં ન હતા. ઇંગ્લેન્ડે બંને મેચ આઠ વિકેટથી જીતી હતી. આ રેકોર્ડના આધારે એવું માનવામાં આવે છે કે, ટીમ ઇન્ડિયા અમદાવાદમાં સીરિઝ જીતી શકે છે.
સીરિઝનું શું રિઝલ્ટ આવી શકે
ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-1 થી આગળ છે. પહેલી મેચ ભારત જીત્યા પછી, ભારતને બીજી T20 માં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ત્રીજી મેચમાં ભારતે જીત મેળવી અને ચોથી T20 ધુમ્મસને કારણે રદ થઈ હતી. જો ભારત પાંચમી જીતે તો સીરિઝને 3-1 થી જીતી શકે છે અને જો સાઉથ આફ્રિકા પાંચમી T20I જીતે છે, તો સીરિઝ 2-2 થી ડ્રૉ થશે.
અમદાવાદની પિચ કેવી હોય છે
અમદાવાદમાં, ભારતીય ટીમ કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ભારતીય કેપ્ટનનું વર્ષ મુશ્કેલ રહ્યું છે, તેને છેલ્લી 20 ઇનિંગ્સમાં એક પણ હાફ-સેંચુરી ફટકારી નથી. અમદાવાદની પીચ બેટ્સમેન માટે અનુકૂળ માનવામાં આવે છે. તેથી, સૂર્યકુમાર યાદવ અહીં મોટી ઇનિંગ્સ રમી શકે છે અને પોતાનું ખોવાયેલું ફોર્મ પાછું મેળવી શકે છે.
શું સંજુ સેમસનને મળશે તક?
પાંચમી T20 માં સંજુ સેમસન પણ ફોકસમાં રહેશે. ઇજાગ્રસ્ત શુભમન ગિલ અમદાવાદ T20 માં રમે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, સંજુ સેમસનને ટીમમાં તક મળી શકે છે, તે ઓપનર તરીકે પાછો ફરી શકે છે. સંજુ સેમસનનું લખનૌમાં રમવું લગભગ નક્કી હતું, પરંતુ મેચ રદ થઈ ગઈ, જેના કારણે તેને તે તક ગુમાવવી પડી. જો તેને અમદાવાદમાં તક મળે, તો સંજુ સેમસન મોટી ઇનિંગ્સ રમીને ટીમમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કરશે.





















