IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સિરીઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટના મેદાન પર રમાશે. બપોરે 1:30 વાગ્યે શરૂ થનારી આ મેચ માત્ર ટીમ ઈન્ડિયાની જીત માટે જ નહીં, પણ ખેલાડીઓના અંગત રેકોર્ડ્સ માટે પણ ખાસ બની રહેશે. ખાસ કરીને ટીમમાં મધ્યક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર અને અનુભવી વિરાટ કોહલી વચ્ચે એક અનોખી હરીફાઈ જોવા મળશે, જે ક્રિકેટ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
આજકાલ ટીમ ઈન્ડિયામાં રન બનાવવાની બાબતમાં ઐયર અને કોહલી વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. આંકડા જોઈએ તો, છેલ્લી 20 વનડે ઇનિંગ્સમાં શ્રેયસ ઐયરએ 'રન મશીન' વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધો છે. ઐયરએ 1030 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલી 1024 રન સાથે તેની બિલકુલ નજીક છે. માત્ર 6 રનનો આ તફાવત રાજકોટની મેચમાં કોણ બાજી મારશે તે જોવું રસપ્રદ રહેશે. કેપ્ટન રોહિત શર્મા 927 રન સાથે આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે.
શિખર અને વિરાટ ના રેકોર્ડ જોખમમાં
રાજકોટની આ મેચ શ્રેયસ ઐયર માટે સુવર્ણ તક છે. તેને વનડે ક્રિકેટમાં 3,000 રન પૂરા કરવા માટે માત્ર 34 રનની જરૂર છે. જો તે બુધવારે આ રન બનાવી લે છે, તો તે ભારત માટે સૌથી ઝડપી 3,000 રન પૂરા કરનાર બેટ્સમેન બની જશે. હાલમાં આ રેકોર્ડ શિખર ધવન (72 ઇનિંગ્સ) અને વિરાટ કોહલી (75 ઇનિંગ્સ) ના નામે છે. ઐયર પોતાની 69 મી ઇનિંગ્સમાં જ આ સિદ્ધિ મેળવીને ઇતિહાસ રચી શકે છે.
ટીમ ઇન્ડિયાના 'નવા બિગ થ્રી'
ભારતીય બેટિંગ લાઇનઅપમાં હવે એક નવો બદલાવ જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે હવે શ્રેયસ ઐયરનું નામ પણ 'બિગ થ્રી' માં ગણાવવા લાગ્યું છે. છેલ્લી બે મોટી ICC ટુર્નામેન્ટના આંકડા સાક્ષી છે કે, કોહલીના 918 રન અને રોહિતના 777 રન સામે ઐયરએ 773 રન બનાવીને પોતાની મજબૂત હાજરી નોંધાવી છે. નંબર 4 પર બેટિંગ કરતા ઐયર હવે ભારતીય ટીમનો અત્યંત મહત્વનો ભાગ બની ગયો છે.





















