The amazing combination of Uttarayan and cricket: રાજકોટ શહેર હાલ ક્રિકેટના રંગે રંગાઈ ગયું છે. વડોદરામાં રમાયેલી પ્રથમ ODI મેચમાં શાનદાર વિજય મેળવ્યા પછી ભારતીય ટીમ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમ ખાસ વિમાન દ્વારા રાજકોટ આવી પહોંચી છે. આ વખતે રાજકોટવાસીઓ માટે બેવડો ઉત્સવ છે, કારણ કે, 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે જ આ મેચ રમાવાની છે. એક તરફ આકાશમાં પતંગોની પેચ લડાશે, તો બીજી તરફ મેદાનમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર જંગ જામશે.
ખેલાડીઓનું એરપોર્ટ પર આગમન
આજે બપોરે સ્પાઇસ જેટના સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા બંને ટીમો રાજકોટ એરપોર્ટ પર ઉતરી હતી. એરપોર્ટ પર ખેલાડીઓની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એરપોર્ટથી હોટલ સુધીના રસ્તા પર ક્રિકેટ પ્રેમીઓએ પોતાના મનપસંદ ખેલાડીઓનું અભિવાદન કર્યું હતું.
સયાજી હોટલમાં ગરબા સાથે સ્વાગત
ભારતીય ટીમને શહેરના કાલાવડ રોડ પર આવેલી પ્રખ્યાત હોટલ સયાજી હોટલમાં ઉતારો આપવામાં આવ્યો છે. હોટલ પહોંચતા જ ટીમ ઇન્ડિયાનું સ્વાગત પરંપરાગત ગુજરાતી સ્ટાઇલમાં કરવામાં આવ્યું હતું. પ્રવેશદ્વાર પર જ ઢોલ-નગારાના તાલે કલાકારોએ રાસ-ગરબા રજૂ કર્યા હતા. ખેલાડીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી અને કુમકુમ તિલક લગાવીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્ટાર ખેલાડીઓનું આકર્ષણ
લાંબા સમય પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટના મેદાન પર રમવાના હોવાથી ચાહકોમાં અનેરો ઉત્સાહ છે. જ્યારે આ દિગ્ગજ ખેલાડીઓ હોટલ પહોંચ્યા ત્યારે 'ઇન્ડિયા-ઇન્ડિયા'ના નારાથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમને શહેરની અન્ય એક ખાનગી હોટલમાં રોકાણ આપવામાં આવ્યું છે.
મેદાનમાં પ્રેક્ટિસ સેશન
મેચ પૂર્વે પોતાની તૈયારીઓ માટે ટીમ ઈન્ડિયા આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીએ બંને ટીમો નિરંજન શાહ સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ સવારના સમયે પ્રેક્ટિસ કરશે, જ્યારે ભારતીય ટીમ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ફ્લડ લાઈટ્સ હેઠળ પરસેવો પાડશે. ફ્લડ લાઈટ્સમાં પ્રેક્ટિસ કરીને ભારતીય ખેલાડીઓ મેદાનની પરિસ્થિતિનો અંદાજ મેળવશે.
સિરીઝ જીતવા પર ભારતની નજર
વડોદરામાં જીત મેળવ્યા પછી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ બુલંદ છે અને તેઓ રાજકોટમાં જ સિરીઝ જીતી લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ જીતીને સિરીઝમાં કમબેક કરવા માટે પ્રયત્ન કરશે. રાજકોટની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે, તેથી રનનો વરસાદ થવાની શક્યતા છે.
ટીકીટોનું ધૂમ વેચાણ
આ મેચ માટે રાજકોટમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. 14 જાન્યુઆરીની મેચ માટે મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ છે. સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાનો અને સાથે જ ઉત્તરાયણનો આનંદ માણવાનો આ એક યાદગાર સંયોગ છે.





















