ગયા અઠવાડિયે, 12 જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 દુર્ઘટનાગ્રસ્ત થતાં દેશને દચાવી દીધો હતો. અમદાવાદથી લંડન જતી આ ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થતાં 274 લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. દુર્ઘટનામાં પાઇલટ, ક્રૂ મેમ્બર, મુસાફરો અને જમીન પરના રહેવાસીઓ પણ શિકાર બન્યા હતા.
બુકિંગ અને ભાડા બંનેમાં ઘટાડો
અકસ્માત બાદ લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. ભારતીય ટુર ઓપરેટરોની સંસ્થા IATOના પ્રમુખ રવિ ગોસૈના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં 18-22% અને સ્થાનિક ફ્લાઇટ્સમાં 10-12% બુકિંગ ઘટ્યું છે. આ સાથે, આંતરરાષ્ટ્રીય ટિકિટોના ભાડામાં પણ 10-15% અને સ્થાનિક ભાડામાં 8-12% જેટલો ઘટાડો થયો છે, ખાસ કરીને જ્યાં Air India બજેટ એરલાઇન ઈન્ડિગો અને અકાસા સાથે સ્પર્ધા કરે છે.
ટિકિટ રદ્દ થવામાં પણ વધારો
અકસ્માત પછીના પહેલા અઠવાડિયામાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાની ટિકિટ રદ્દ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 15-18% અને સ્થાનિક સ્તરે 8-10% ટિકિટો રદ્દ કરવામાં આવી છે. ટુર ઓપરેટર્સ માને છે કે મુસાફરોના મનમાંથી ભય દૂર થાય ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવી શકે છે.
સુરક્ષા દૃષ્ટિએ વિમાનો યોગ્ય હોવાનો DGCAનો અહેવાલ
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા એર ઇન્ડિયાના તમામ 24 બોઇંગ 787 વિમાનોનું સંપૂર્ણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ વિમાનો હાલના સુરક્ષા ધોરણોને અનુરૂપ હોવાનું જણાયું છે. છતાં, સુરક્ષાને લઈ મુસાફરોમાં વિશ્વાસ ઉભો કરવામાં એર ઇન્ડિયાને વધુ મહેનત કરવી પડશે.



















