આજના સમયમાં ડિજિટલ લેવડદેવડ વધવાને કારણે દરેક વ્યક્તિ પાસે એકથી વધારે બેંક ખાતા હોવા એ સામાન્ય બાબત બની ગઈ છે. ઘણીવાર નોકરી બદલવાથી સેલેરી એકાઉન્ટ બદલાય છે અથવા લોન લેતી વખતે નવા ખાતા ખોલવા પડે છે. જોકે જ્યારે આ વધારાના ખાતાઓને સાચવવાનું મુશ્કેલ બને છે ત્યારે ગ્રાહકો તેને બંધ કરવાનો નિર્ણય લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે બેંક એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયામાં જો સાવધાની રાખવામાં ન આવે તો તમારે આર્થિક દંડ ભરવાનો વારો આવી શકે છે. જો તમે પણ તમારું કોઈ જૂનું ખાતું બંધ કરવાનું વિચારી રહ્યા હોવ તો અહીં જણાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઓટો ડેબિટની વિગતોમાં ફેરફાર કરવો જરૂરી સૌથી પહેલા તમારે એ તપાસવું જોઈએ કે જે ખાતું તમે બંધ કરવા જઈ રહ્યા છો તેની સાથે કોઈ ઓટોમેટિક પેમેન્ટની સુવિધા જોડાયેલી છે કે નહીં. સામાન્ય રીતે લોકો લોનના હપ્તા એટલે કે ઈએમઆઈ અને મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી કે વીમાના પ્રીમિયમ માટે ઓટો ડેબિટનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત લાઈટબિલ કે અન્ય યુટિલિટી બિલ પણ ઓટોમેટિક કપાતા હોય છે. જો તમે લિંક કરેલું ખાતું અપડેટ કર્યા વગર બંધ કરી દેશો તો તમારા પેમેન્ટ અટકી જશે અને તમારે દંડ ભોગવવો પડશે. પેમેન્ટ બાઉન્સ થવાને કારણે ક્રેડિટ સ્કોર પર પણ ખરાબ અસર પડી શકે છે. આથી ખાતું બંધ કરવાની અરજી આપતા પહેલા તમામ ઓટો પેમેન્ટને બીજા સક્રિય ખાતામાં ટ્રાન્સફર કરી લેવા હિતાવહ છે.
ખાતામાં નેગેટિવ બેલેન્સ છે કે નહીં તે તપાસો ઘણા લોકો એવું માને છે કે જૂના ખાતામાં પૈસા નથી એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરંતુ હકીકતમાં એવું હોતું નથી. જો તમે લાંબા સમય સુધી ખાતાનો ઉપયોગ ન કર્યો હોય તો તેમાં લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બદલ અથવા અન્ય સર્વિસ ચાર્જીસ લાગતા રહે છે. જેના કારણે તમારું બેલેન્સ નેગેટિવ થઈ જાય છે. જ્યારે તમે સત્તાવાર રીતે બેંકમાં જઈને ખાતું બંધ કરવા જશો ત્યારે બેંક તમારી પાસે આ બાકી રકમની માંગણી કરી શકે છે. તેથી બેંકમાં જતા પહેલા છેલ્લું સ્ટેટમેન્ટ તપાસી લેવું જોઈએ અને જો કોઈ નેગેટિવ બેલેન્સ હોય તો તેની ભરપાઈ કરવી પડી શકે છે.
બાકી ચાર્જ અને ફી ચૂકવવી અનિવાર્ય બેંક ખાતાની સાથે મળતા ડેબિટ કાર્ડ કે ચેકબુકનો વપરાશ તમે ભલે લાંબા સમયથી ન કર્યો હોય પરંતુ બેંક તેના વાર્ષિક ચાર્જ વસૂલતી હોય છે. આ ઉપરાંત એસએમએસ એલર્ટ જેવી સેવાઓના ચાર્જ પણ બાકી હોઈ શકે છે જે સમય જતાં જમા થતા રહે છે. એકાઉન્ટ બંધ કરવાની પ્રક્રિયા પૂરી કરવા માટે તમારે આ તમામ પરચૂરણ લેણી રકમ ચૂકવવી પડે છે. ભવિષ્યમાં કોઈ કાયદાકીય કે નાણાકીય સમસ્યા ઉભી ન થાય તે માટે બેંકનો તમામ હિસાબ ચોખ્ખો કરીને અને 'નો ડ્યુઝ' સર્ટિફિકેટ મેળવીને જ ખાતું બંધ કરવું જોઈએ.





















