દિવાળીનો તહેવાર ઉજવાઈ ગયો છે, જો કે, દેવ દિવાળી અને છઠ્ઠ પૂજાનો તહેવાર હજુ બાકી છે, ત્યારે રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દિવાળી બાદ આવનારા છઠ પૂજાના પર્વને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ આયોજન હાથ ધરાયું છે. મુસાફરોને મુસાફરી દરમિયાન અગવડ ન પડે તે માટે કાલુપુર સહિત રાજ્યના તમામ મુખ્ય સ્ટેશનો પર ખાસ સુવિધાઓ ગોઠવાઈ છે.
કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુસાફરોની ભારે ભીડ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું કે, તહેવારોની અવધિ દરમિયાન મુસાફરોની ભારે માંગને પહોંચી વળવા માટે કુલ 65 જેટલી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો દ્વારા અંદાજે 50 લાખ જેટલા મુસાફરો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. હાલ દરરોજ આશરે 32 હજારથી વધુ મુસાફરો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરી રહ્યા છે.
ખાસ સુવિધા અને મોટી સંખ્યામાં જવાનો તૈનાત
મુસાફરોની ભીડને સંભાળવા માટે અલગથી હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જ્યાં પીવાનું પાણી, લાઈટિંગ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ મુસાફરોને વ્યવસ્થિત રીતે ચેનલાઈઝ કરીને ટ્રેનોમાં ચઢાવવામાં આવી રહ્યા છે, જેથી અવ્યવસ્થા કે ધકકામુક્કી ન સર્જાય. રેલવે દ્વારા જનરલ ટિકિટ કાઉન્ટરો પર થતી ભીડને ધ્યાનમાં રાખી અલગ અનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે, જેથી મુસાફરોને ટિકિટ લેવા માટે મુશ્કેલી ન પડે. સુરક્ષા માટે RPF અને GRPના અધિકારીઓ તથા જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે.
મુસાફરોની સંખ્યા ગયા વર્ષની તુલનાએ લગભગ 40 ટકા જેટલી વધી!
જનરલ મેનેજર વિવેકકુમાર ગુપ્તાએ જણાવ્યું કે આ વખતે મુસાફરોની સંખ્યા ગયા વર્ષની તુલનાએ લગભગ 40 ટકા જેટલી વધુ છે. એટલે કે આ વર્ષે અંદાજે એક લાખ જેટલા મુસાફરો વધારે પ્રવાસ કરી રહ્યા છે. તેમ છતાં, રેલવે દ્વારા યોગ્ય આયોજનથી મુસાફરોને કોઈ અગવડતા ન થાય તેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.






